ભાવનગરઃ દેશના અન્ય મહાનગરની જેમ ભાવનગરમાં પણ ધામધૂમથી ગણપતિના તહેવાર ગણેશચોથની ઉજવણી કરવામાં આવે છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં પંડાલમાં બીરાજતા ગણપતિની પૂજા આરતી થાય છે. વાજતેગાજતે ગણપતિને લાવવામાં આવે છે. આ ઉપરાંત વ્હાલથી વિદાય પણ આપવામાં આવે છે. દર વર્ષે પંડાલ માલિકો જુદી જુદી થીમ અંર્તગત ગણેશજીના પંડાલમાં ડેકોરેશન કરે છે. પણ ભાવનગરની સહજાનંદ કૉલેજના પરિસરમાં તરતા ગણપતિ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
તરતા ગણપતિઃ ભાવનગર શહેરમાં અનેક ગણપતિ પંડાલ બનાવવામાં આવ્યા છે ત્યારે ભાવનગરના સરદારનગર સહજાનંદ કોલેજના પટાંગણમાં તરતા ગણપતિ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવેલા ગણપતિ હવામાં તરી રહ્યા છે. નીચે બાજોટ મુકવામાં આવ્યો છે પણ ભગવાન હવામાં છે. નાના બાળકો માટે આ ગણપતિ નવીનતા અને વિચાર કરવા મજબુર કરી રહ્યા છે. લોકો ભાવપૂર્વક ગણપતિના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. એક અદ્રશ્ય દોરાના સહારે આ ગણેશજીની મૂર્તિને ટેકવવામાં આવી છે. આને મનોવિજ્ઞાનની ભાષામાં દ્રષ્ટિભ્રમ કહેવાય છે.