બનાસકાંઠા : રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને ઘણા સમયથી કૃષિ વિષયક વીજ જોડાણો મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી, ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ઉર્જા પ્રધાન કનુ દેસાઈ દ્વારા ખેત તલાવડી તેમજ અન્ય સોર્સ દ્વારા પાણી મેળવી સુક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવતા હોય તેવા ખેડૂતોને પાંચ હોર્સ પાવરનું વીજ જોડાણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મોટો ફાયદો થશે.
પ્રવીણ માળીની રજૂઆત સરકારમાં : ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા આ બાબતે અગાઉ રાજ્ય સરકારમાં અનેક રજૂઆત કરી હતી. જેમાં ખેડૂતોને અગાઉ ડીઝલ પંપ દ્વારા પાણી ખેંચવું પડતું હતું. જે આર્થિક રીતે પોસાય તેમ ન હતું. જેથી ખેડૂતોને વીજ જોડાણ આપવાની ધારાસભ્યની રજૂઆત સંવેદનશીલ સરકારે સાંભળી હતી. જેના આધારે સરકારે જે ખેડૂતો ખેત તલાવડી દ્વારા કે અન્ય સોર્સ જેવા કે પાણીના ટાંકા, હોજ વગેરે દ્વારા સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવે તેવા ખેડૂતોને નાની મોટર મૂકી અને પિયત કરી શકે તે માટે સરકાર દ્વારા પાંચ હોર્સ પાવર વીજળી આપવાનો મહત્વનો નિર્ણય કરાયો હતો.
ખેડૂતોને કેવી રીતે ફાયદો : બનાસકાંઠા જિલ્લામાં જે સૌથી રાજ્યમાં સૌથી વધુ ટપક અને ફુવારા જેવી સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવી ખેત તલાવડી બનાવી છે. તે ખેડૂતો અત્યાર સુધી પાણી નિકાળવા માટે પંપ, મોટર સહિત ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા ખર્ચ વધારે આવતો હતો. એક ખેડૂતને અંદાજિત 40થી 50 હજાર રૂપિયા જેટલો ખર્ચ થતો હતો, પરંતુ હવે સરકારની આ જાહેરાત બાદ પાંચ હોર્સ પાવરનું વીજ જોડાણ આપતા આ ખર્ચ ઘટીને 5000 રૂપિયા જેટલો થઈ જશે. જેથી ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને 40થી 45 હજાર રૂપિયાનો ફાયદો થતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી.
અમે ખેત તલાવડીની પદ્ધતિથી ખેતી કરતા હતા, પરંતુ ખેત તલાવડીમાંથી પાણી બહાર કાઢવા માટે અમે પંપનો ઉપયોગ કરતા હતા, પરંતુ તેમાં ટ્રેકટરથી પંપ ચાલતો હોવાથી ટ્રેક્ટરમાં ડીઝલનો વપરાશ થતો હતો વધારે એટલે લગભગ 12 મહિનામાં 50થી 60 હજારનું ડીઝલ ખર્ચ થતો હતો, પરંતુ હવે સરકાર દ્વારા જે પાંચ વર્ષ પાવર આપવાનો નિર્ણય કર્યો છે. જેથી અમારે હવે 40થી 50 હજાર રૂપિયા જેટલો ફાયદો થશે. તેથી સરકારનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. - અણદા જાટ (ખેડૂત)
ધરતીપુત્રને સરકાર પ્રત્યે ખુશી : યવારપુરા ગામના ખેડૂત પ્રતાપ જાટે જણાવ્યું હતું કે, અમે આમ તો વર્ષોથી ખેતી કરીએ છીએ પહેલા અમે બોરના પાણીથી ખેતી કરતા હતા, પરંતુ સમય જતા પાણી નીચા ગયા જેથી અમે અમારા ધારાસભ્ય પ્રવીણ માળીના માર્ગદર્શન હેઠળ ખેત તલાવડી બનાવવાનો નિર્ણય કર્યો અને અમે ખેત તલાવડી બનાવી પાણી બહાર કાઢવા માટે ટ્રેક્ટર મોટર અથવા અન્ય ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. જેથી અમારે બાર મહિને 50થી 60 હજાર રૂપિયા જેટલો ખર્ચ થતો હતો, પરંતુ હવે જે સરકારે જાહેરાત કરી છે. એમાં અમારો ખર્ચ ઓછો થશે અને ખેડૂત પણ સ્વનિર્ભર બનશે.