અરવલ્લીના માલપુર તાલુકાના પરસોડા ગામના ખાંટ ફળિયામાં આજે વહેલી સવારે પ્રવીણભાઈ ખાંટના કાચા મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી. આ દરમિયાન ઘરમાં ઘરકામ કરતા મંજુલાબેન પ્રવીણભાઈ ખાંટ દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ગ્રામજનોએ મહિલાને કાટમાળ નીચેથી બહાર કાઢી સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા, જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો. ઘરના અન્ય ૪ સભ્યો ઘરની બહાર હોવાથી આબાદ બચાવ થયો હતો.
સમગ્ર ઘટનાને પગલે માલપુર પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સમગ્ર મામલે માલપુર તાલુકા મામલતદાર કચેરી દ્વારા તલાટી મારફત રીપોર્ટ મંગાવી જોગવાઇ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ભારે વરસાદ બાદ કાચી દિવાલો ભેજને પગલે ધરાશાયી થતી હોય અન્ય રહીશોમાં પણ ભય ફેલાયો છે.