અરવલ્લીઃ જિલ્લાના બાયડ તાલુકાના જોધપુર ગામે અમદાવાદના રહેવાસી ચંદ્રકાંત પટેલે 60 વીઘા જમીન ખરીદી હતી. જો કે, જમીનના કબ્જા બાબતે વિવાદ ઉભો થતા મામલો કાર્ટમાં પહોચ્યો હતો. જમીનનો કબ્જો મેળવવા માટે ઘણા લાંબા સમયથી કોર્ટમાં કેસ ચાલતો હતો. આ દરમિયાન ચંદ્રકાંતે જમીનનો કબ્જો મેળવવા માનતા રાખી હતી.
કોર્ટમાં કેસ દરમિયાન જમીનનો કબ્જો ચંદ્રાકાંતને મળી જતાં 60 વીઘા ખેતરમાં વાવેતર કરેલા બાજરીના પાકને ગાયોને ચરાવવા માટે દાનમાં આપી તેમણે પોતાની માનતા પૂરી કરી હતી. આ ઉપરાંત ચંદ્રાકાંતે આસપાસના પશુપાલકોને પોતાના ખેતરમાં વાવેલા બાજરીના ઉભા પાકને લઈ જવા અથવા ખેતરમાં ગાયો-ભેંસો સહિતના પશુઓને ચરવા છોડી જવાની પણ જાહેરાત કરી હતી. ચંદ્રકાંતની આ પ્રેરણાદાયી પહેલ અને માનવતાભર્યા કાર્યને જીવદયાપ્રેમીઓ સહિત તમામ લોકોએ બિરદાવ્યું હતું.