અરવલ્લીઃ જિલ્લાના મોડાસાની કોવિડ હોસ્પિટલના એમ્બ્યુલન્સના ચાલક અરવિંદ ધોબી કોરોના સંક્રમિત થયા હતા. 55 વર્ષિય અરવિંદભાઇ છેલ્લા 22 વર્ષથી સાર્વજનિક હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેમણે ઘણા જરૂરીયાતમંદ ગરીબ દર્દીઓને ઘર સુધી પંહોચાડવાની સેવા કરી છે.
માર્ચ મહિનાથી કોરોનાની શરૂઆત દરમિયાન દિવસ-રાત જોયા વગર કોરોનાના દર્દીઓને ઘરેથી હોસ્પિટલ સુધી લાવવાનું તેમજ દર્દીઓના સેમ્પલ અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગર સીવિલ હોસ્પિટલમાં સેમ્પલ પંહોચાડવાનું કામ અરવિંદભાઇ દ્વારા કરવામાં આવતુ હતું. તેઓ અત્યાર સુધી 7000થી વધુ સેમ્પલ પંહોચાડી કોરાનાના દર્દીઓને ઝડપી સારવાર મળે તે માટે કાર્યરત રહ્યા છે.
આ સમયગાળા દરમિયાન અરવિંદભાઇ પોતે પણ કોરોનાના સંક્રમણમાં આવી ગયા હતા. જો કે, તેઓએ વિચલીત થયા વિના હોસ્પિટલમાં સારવાર લઇ મજબૂત મનોબળથી કોરોનાને માત આપી અને ફરી દર્દીઓની સારવારમાં લાગી જવાની હિંમત બતાવી છે. તેમના પરિવારજનોએ પણ ગભરાયા વિના તેમને લોકોની સેવા કરવા માટે પ્રોત્સાહન આપતા રહ્યા છે અને ફરીથી સેવામાં જોડાવવા માટે હિંમતમાં વધારો કરી રહ્યા છે.
કોરોના સામેની લડાઇમાં જ્યારે સમગ્ર તંત્ર કાર્યરત છે, ત્યારે અવિરત સેવા આપતા આવા નાના કર્મચારીઓ સાચા અર્થમાં કોરોના વોરીયર્સ છે.