- તૌકતે વાવાઝોડાની ચરોતરમાં થઈ હતી અસર
- આંકલાવના ચમારા ગામ નજીક 42 વર્ષીય વ્યક્તિનું મોત
- ચમારા ગામના બોરીયા વિસ્તારમાં બન્યો બનાવ
- દીકરીના લગ્નના ગણતરીના કલાકો પહેલાં બની દુઃખદ ઘટના
- ઘરમાં માંડવાને બદલે માતમ છવાયો
આણંદઃ ચમારાના બોરીયા વિસ્તારમાં ખેતરમાં કાચું મકાન બનાવી પરિવાર સાથે રહેતા ભાઈલાલભાઈ પરમારના ઘરે શુક્રવારે દીકરીના લગ્ન હતાં. આવનાર શુભ પ્રસંંગને લઈ પરિવારમાં આખરી તૈયારીઓ ચાલી રહી હતી,ત્યારે મંગળવારે રાજ્ય પર ત્રાટકેલા વાવાઝોડાએ પરિવારની ખુશીઓ છીનવીને પરિવારના મોભી અને દીકરીના પિતાનો જીવ લીધો હતો. મંગળવારે બપોરે ફૂંકાયેલા ભારે પવનમાં ભાઈલાલભાઈના ઘરની છત ઉડી ગઈ હતી, જેમાં ઘરની બાજુમાં તેમની ઉપર અને રસોઇ બનાવી રહેલી પત્ની અને મોટી દીકરી પર આ છત પડી હતી, જેમાં ભાઈલાલભાઈનું મોત નીપજ્યું હતું. પરિવારના જણાવ્યા મુજબ લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, મંગળવારે બપોરે ભાઈલાલભાઈના પત્ની જમવાનું બનાવતાં હતાં અને અચાનક આવેલા પવનમાં ઘરની પતરાની છત ઉડી તેમના ઉપર પડી હતી જેમાં આવનાર પ્રસંગની ખુશીઓના માહોલ વચ્ચે માતમ છવાઈ ગયો હતો.
આ પણ વાંચોઃ 'બ્લેક ફંગસ' બાદ હવે 'વ્હાઈટ ફંગસ'નો કહેર, જાણો કઈ રીતે કરે છે શરીર પર હુમલો
ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર પહોંચ્યું ઘટનાસ્થળે
બનાવની જાણ વહીવટીતંત્રને થતા આંકલાવના નાયબ મામલતદારની ટીમ સર્વે કરવા ભાઈલાલભાઈના ઘરે પહોંચી હતી. જ્યાં જરૂરી કાર્યવાહી કરી રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને મોકલવાની કામગીરી હાથ ધરી હતી.