- પ્રાણવાયુ સેવાયજ્ઞની શરૂઆત વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કરાવી
- ઓક્સિજનની જરૂરિયાત ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે પ્રાણવાયુ પુરો પાડવામાં આવશે
- ઓક્સિજનના બદલામાં એક વૃક્ષના વાવેતરની સાથે તેનું જતન અને તેના ઉછેરનું બાહેધરી પત્રક લખવામાં આવે છે
અમરેલીઃ જિલ્લા કોંગ્રેસ અને પરિવર્તન સેવા ટ્રસ્ટ દ્વારા અમરેલી જિલ્લામાં વિનામૂલ્યે પ્રાણવાયુ વિતરણ મહાયજ્ઞનો આજે રવિવારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજથી 24 કલાક કોઈ પણ દર્દીને કે, જેની સારવાર ચાલી રહી હોય અને તેને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થતી હોય તેવા પ્રત્યેક વ્યક્તિને વિનામૂલ્યે ઓક્સિજન પૂરો પાડવાની વ્યવસ્થાં અમરેલીમાં શરૂ થઇ છે.
વિનામૂલ્યે આપવામાં આવશે ઓક્સિજન
ઓક્સિજન મેળવ્યાંના બદલામાં પ્રત્યેક વ્યક્તિએ એક વૃક્ષ વાવવાની સાથે તેનું જતન અને ઉછેર કરવાની બાહેંધરી પત્રક ફરજીયાત આપવાનુ રહેશે. વિનામૂલ્યે ઓક્સિજન સેવાયજ્ઞ બાબતે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આજે પ્રાણવાયુનો સંકટ ઊભો થયો છે, ત્યારે આજથી જાગી જઇને વૃક્ષના વધુ વાવેતર તરફ પ્રત્યેક વ્યક્તિ આગળ વધે આવી પરિસ્થિતિમાં કુદરત દ્વારા મળતો વિનામૂલ્યે પ્રાણવાયુ કોઈને મળી શકે તેવા ઉદ્દેશ્ય સાથે વૃક્ષનુ જતન અને ઉછેર માટેનુ બાહેધરી પત્રક વિનામૂલ્યે ઓક્સિજન લેવા આવતા પ્રત્યેક વ્યક્તિ પાસેથી લેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ અમરેલી જિલ્લાનું ચાવંડ ચેકપોસ્ટ ફરી શરૂ થશે, કોરોના પોઝિટિવ કેસ વધતા તંત્રએ લીધો નિર્ણય
જિલ્લામાં ઓક્સિજનની અછત
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અમરેલી શહેર અને જિલ્લામાં આવેલી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની સાથે તમામ મેડિકલ સુવિધાઓની ભારે અછત જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દી ઓક્સિજન માટે ખૂબ મોટી મુશ્કેલીમાં સપડાઇ રહ્યો હતો. કેટલાક કિસ્સાઓમાં સમયસર અને પૂરતો ઓક્સિજન નહીં મળવાને કારણે કેટલાક હતભાગી દર્દીઓના મોત પણ થયા છે.
આ પણ વાંચો- અમરેલીના ગામડાઓમાં હોમ ક્વોરોન્ટાઈન લોકોની વ્હારે આવ્યું તંત્ર...
ઓક્સિજન મળવાને લઈને લોકોમાં નવી આશાનો સંચાર
જેને લઇને પરેશ ધાનાણીએ ગઈકાલે શનિવારે રાજ્યના મુખ્યપ્રધાનને અમરેલી શહેર અને જિલ્લાને ઓક્સિજનના સંકટમાંથી બચાવવાની ગુહાર લગાવી હતી. ત્યારબાદ આજે 24 કલાક પછી અમરેલી જિલ્લા કોંગ્રેસ અને પરિવર્તન ટ્રસ્ટ દ્વારા અમરેલી શહેરમાં જિલ્લાની કોઈપણ વ્યક્તિને વિનામૂલ્યે પ્રાણવાયુ આપવાના સેવાયજ્ઞની શરૂઆત કરવામાં આવી છે. જેથી અમરેલી જિલ્લાના લોકોમાં પણ ઓક્સિજન મળવાને લઈને નવી આશાનો સંચાર થયો છે.