અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ખોડિયાણા ગામની પ્રાથમિક શાળામાં 152 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યાં મધ્યાહન ભોજનમાં મેનુ મુજબના ભોજનની જગ્યાએ સંચાલકની મરજી મુજબનું ભોજન પીરસાઈ રહ્યું છે. સરકારી મેનુ મુજબ શુક્રવારે પુલાવ અને સુખડી હોય છે, પરંતુ ખોડિયાણાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં નાની બરણીમાં દાળ અને એક અડધી ડોલમાં ભાત પીરસાઈ રહ્યા છે અને તે પણ ખૂબ જ હલકી ગુણવત્તાવાળું છે.
આજે 70 વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજનમાં જમવાના છે, પરંતુ એક નાની બરણીમાં દાળ અને અડધી ડોલમાં ભાત હોવાથી વિદ્યાર્થીઓને ભરપેટ નામના દાળ ભાત પીરસાઈ રહ્યા છે. પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનનું સંચાલન કરતા અધિકારીએ 1 હજારના પગારમાં રાખેલી વૃદ્ધ મહિલા મધ્યાહન ભોજનની ચીજવસ્તુઓ પોતાના ઘરે રાખે છે અને મધ્યાહન ભોજનના સામાનનો ઓરડો ખાલીખમ છે. ત્યારે મધ્યાહન ભોજન જમતા બાળકો ગરીબ હોવા છતાં સંચાલકો કોન્ટ્રાક્ટ પર અન્ય વ્યક્તિઓને રાખી મહિને એકવાર ઘઉં, ચોખા અને તેલનો ડબ્બો પહોંચાડતા હોય છે.
પ્રાથમિક શાળાના 152 વિદ્યાર્થીઓમાંથી 70થી 80 બાળકો મધ્યાહન ભોજનમાં જમે છે, પરંતુ એક નાની બરણીમાં દાળ અને અડધી ડોલમાં ભાત 70થી 80 વિદ્યાર્થીઓને કેમ પુરા થાય તે એક પ્રશ્ન છે. અમરેલી જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનામાં મોટાભાગના સંચાલકો પેટા સંચાલનમાં મધ્યાહન ભોજન કેન્દ્રો સોંપી દેવાતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સાવરકુંડલા મામલતદાર મહોબ્બતસિંહ પરમારે જણાવ્યું હતું કે, મેનુ મુજબ સંચાલન કરવાની સૂચના મામલતદારે ગઈકાલે જ પરિપત્ર કરીને આચાર્ય અને મધ્યાહન ભોજન સંચાલકોને આપી છે. પરિપત્રના બીજા દિવસે જ સંચાલક દ્વારા તંત્રની જરા પણ દરકાર કરાતી ન હોય તેવું જણાઈ રહ્યું છે, પરંતુ મામલતદારે ફરિયાદ બાદ જ કડક પગલાં લેવાની વાત કરી હતી.