અમદાવાદઃ સામાન્ય રીતે 5 હજાર, 10 હજાર જેવી નાની કીમતની વસ્તુઓમાં ખામી કે છેંતરપિંડી સામે લોકો ફરિયાદ કરતા નથી. પરતું લગભગ પાંચ વર્ષ પહેલાં ખરીદેલો મોબાઈલ ફોન બગડેલો નીકળતાં અમદાવાદ ગ્રાહક સુરક્ષા ફોરમે ફરિયાદ દાખલ થયાના બે વર્ષ બાદ 8364 રૂપિયાનો મોબાઈલ ફોન બદલી આપવા, રિપેર અથવા પૈસા પરત કરવાનો આદેશ કર્યો છે. ફોરમે મોબાઈલ કંપનીને અરજદારને ખર્ચ પેટે રૂપિયા 1 હજાર ચુકવવાનો પણ આદેશ કર્યો છે.
અમદાવાદ ગ્રાહક સુરક્ષા ફોરમે વર્ષ 2018માં દાખલ અરજી પર મહત્વનો ચૂકાદો આપતા લેનોવો કંપનીને મોબાઈલ ફોન રિપેર, બદલી આપવા અથવા વર્ષના 9 ટકા વ્યાજ સાથે પૂરા પૈસા પરત કરવાનો આદેશ કર્યો છે. ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદી જર્નાધન ત્રિવેદી દ્વારા દાખલ કરાયેલી અરજીમાં છેલ્લાં બે વર્ષથી લેનોવો કંપની તરફથી કોઈ જવાબ કે વ્યકિત હાજર ન રહેતાં કોર્ટે ચૂકાદો આપ્યો હતો. અરજદાર દ્વારા 5 વર્ષ પહેલાં ખરીદેલો મોબાઈલ લેનોવો S 650નું બિલ, કેર સેન્ટર સહિત અન્યોને કરેલી રજૂઆતને પણ ફોરમ સમક્ષ રજૂ કરતા તેને માન્ય રાખીને કન્ઝ્યૂમર કોર્ટે આદેશ આપ્યો હતો.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે અમદાવાદમાં રહેતા જર્નાધન ત્રિવેદીએ 12મી મે 2015ના રોજ લેનોલો કંપનીનો S 650 મોડેલનું મોબાઈલ ફોન ખરીદ્યો હતો. જોકે તે બગડેલું નીકળતા 21મી મેના રોજ મોબાઈલ જ્યાંથી ખરીદ્યો હતો તે દુકાનમાં રજૂઆત કરતાં તેમણે બાપુનગર સ્થિત લેનોવો કેરમાં રજૂઆત કરવા જણાવ્યું હતું. લેનોવો કેરમાં રજૂઆત કર્યા બાદ પણ જવાબ ન મળતાં અરજદારે 20મી જૂન 2015ના રોજ 11,999નો અન્ય મોબાઈલ ફોન ખરીદ્યો હતો. કંપની તરફથી કોઈ જવાબ ન મળતા 3 વર્ષ બાદ ગ્રાહક સુરક્ષા ફોરમમાં અરજી દાખલ કરાઈ હતી.