અમદાવાદ: શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે સાંજ સુધીમાં નવા 14 કેસ નોંધાતા કુલ આંકડો 787 પર પહોંચ્યો છે.
નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આંકડામાં અમદાવાદ શહેરના આંકડા સામેલ કરવામાં આવ્યા નથી. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોનાએ બેવડી સદી પુરી કરતા પોઝિટિવ કેસનો આંકડો 235 નોંધાયો છે, જ્યારે દસક્રોઈ 172, બાવળામાં 77 કેસ નોંધાયા છે.
હવે મૂળ ધોળકા અને સાણંદમાં કોરોના ફેલાઈ રહ્યો છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 155, ધંધુકા 25, વિરમગામ 78, બાવળા -77 અને માંડલ તાલુકામાં 16 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી પણ 54 દર્દીઓના મોત નીપજ્યાં છે.
અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે જેમાં 1.10 લાખ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 31 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે.
ધોળકામાં 235 અને સાણંદમાં 155 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.