ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાષ્ટ્રપતિ નિશાન માટેની દરખાસ્ત 21મી ફેબ્રુઆરી 2019ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલી હતી. ભારત સરકારના ગૃહ મંત્રાલય ખાતેની સમિતિ કે જેમાં CRPF, BSF, CBI, ઇન્ટેલિજન્સ બ્યૂરો, ઓડિશા પોલીસ અને હિમાચલ પ્રદેશ પોલીસના વડાઓનો સમાવેશ થાય છે. તેમના દ્વારા આ પ્રસ્તાવનું મૂલ્યાંકન કરી તેને વડાપ્રધાન કચેરીએ મોકલવામાં આવેલ હતું. જે બાદ 7મી માર્ચ 2019ના રોજ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિના નિશાનો એવોર્ડ એનાયત કરવા અંગે જાણ કરવામાં આવી હતી.
1960માં ગુજરાત રાજ્યની રચના થઈ હતી. તેની સાથે જે તે વખતના બોમ્બે રાજ્યના જિલ્લા પોલીસ અને સૌરાષ્ટ્ર તથા કચ્છ રાજ્યના પોલીસ એકમોને વિલિનીકરણ કરી ગુજરાત પોલીસની રચના કરવામાં આવી હતી. આજે 84,476 શહેર તથા જિલ્લા પોલીસ અને 22375 હથિયારી પોલીસ મળી કુલ 1,06,831 પોલીસ અધિકારીઓ ધરાવતી ગુજરાત પોલીસ દેશના આઠમાં મોટા અને આધુનિક પોલીસ તરીકે ઉભરી આવે છે. ગુજરાત પોલીસે તેની 58 વર્ષની યાત્રા દરમિયાન સંગઠિત અપરાધ, આર્થિક અપરાધ,મોટાં આંદોલનો અને આતંકવાદ જેવા ઘણા પડકારોનું સફળતાપૂર્વક સામનો કરેલ છે. આધુનિક હથિયારો, સંદેશાવ્યવહાર વ્યવસ્થા, જુદા જુદા પ્રકારના વાહનો, સુરક્ષા સંબંધી સાધન સામગ્રીઓ, અપરાધીક બનાવની તપાસ માટેના સાધનો, રાયોટ કંટ્રોલ અને નાગરિકોને સુરક્ષા સંબંધી સેવાઓ પૂરી પાડવા જરૂરી સાધનો ,અન્ય કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જરૂરી સાધનોથી સુસજ્જિત બનેલ છે.
રાષ્ટ્રપતિનું નિશાન એ રાષ્ટ્રીય સુરક્ષા અને ગુજરાતની જનતાની સલામતી માટે ગુજરાત પોલીસના તમામ વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલી અવિરત સેવાઓનું સન્માન છે. અનાવરણ થયા બાદ આ ધ્વજ ગુજરાત પોલીસના તમામ એકમોનું પ્રતીક બનશે. અને ગુજરાત પોલીસને એનાયત થયેલ વિશેષ પ્રતીક યુનિફોર્મના ડાબા હાથના સ્લીવમાં પહેરવામાં આવશે. જે ગુજરાત પોલીસની એકતા અને તેનું ગૌરવ દર્શાવશે.