સુરેન્દ્રનગર: જિલ્લાનો ધોળી ધજા ડેમ ઓવર ફલો થતાં ભોગાવો નદીમાં છોડવામાં આવેલા પાણીને કારણે નદી બે કાંઠે વહેતી થઇ હતી. જેના કારણે ધંધુકા તાલુકાના લીલીયા, ઉતેલિયા, સરગવાડા અને ભોળાદ ગામ ઉપરાંત ધોલેરા તાલુકાના ધનાડા અને આનંદપુર ગામની સીમમાં ભોગાવો નદીના પૂરના પાણી ફરી વળ્યા હતા. પરિણામે ખેડૂતોનો કપાસનો ઊભો પાક બળી જતાં ખૂબ જ નુકસાન થયું છે.

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગઇકાલે શનિવારના રોજ લોલીયા અને તેના આસપાસના વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇને અસરગ્રસ્ત ખેડૂતોને સાંત્વના પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર સમક્ષ આ અંગે રજૂઆત કરીને શક્ય તેટલી તમામ આર્થિક સહાય માટે રજૂઆત કરવામાં આવશે.
ચુડાસમાએ અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવાની પણ પ્રાંત અધિકારીને સૂચના આપતા તાત્કાલિક ધોરણે આ ગામમાં જ્યાં નુકસાન થયું છે, તે વિસ્તારોમાં સર્વે કરવામાં આવશે અને તે સર્વેનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે.