અમદાવાદ : અમદાવાદ જેવા મહાનગરમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચે ભાડાને લઈને અનેક તકરારની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ પશ્ચિમ અમદાવાદમાં આવેલા સિંધુભવન રોડ ઉપરની એક વૈભવી ઓફિસમાં ભાડા બાબતને લઈને માલિક અને ભાડુઆત વચ્ચે ચાલતી તકરારમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
ભાડુઆતનો છુટકારો : સિંધુભવન રોડ પર એક ઓફfસના ભાડુઆતે સમયસર ભાડું ન ચૂકવતા માલિકે ઓફિસને તાળાબંધી કરી ભાડુઆતને ઓફીસમાં જ પુરી દીધો હતો. જેથી ભાડુઆતે વિડીયો બનાવીને પોલીસને જાણ કરતા બોડકદેવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ભાડુઆતનો છુટકારો કરાવ્યો હતો.
આ પણ વાંચો modern tenancy Act:મકાનમાલિક અને ભાડુઆતી વચ્ચેની મુશ્કેલીઓનો હલ લાવશે
ભાડાની તકરાર : અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલા ટાઈમ્સ સ્કવેર 2 બિલ્ડિંગમાં MU થાઈ સ્પા નામની જગ્યાના ભાડાને લઈને તકરાર થઈ હતી. ઓફિસના માલિક અનિલ પટેલે મલય સામંથાને જગ્યા ભાડે આપી હતી અને છેલ્લા ઘણા દિવસોથી ભાડાને લઈને બંને વચ્ચે તકરાર ચાલતી હતી.
ભાડુઆત પુરાઇ ગયાં : બુધવારે સવારના સમયે ઓફિસના મૂળ માલિકે ઓફિસે જઈને બહારથી તાળું મારીને નીકળી જતા અંદર ભાડુઆત મલય ફસાઈ ગયા હતા અને તેણે એક વિડિઓ વાયરલ કરીને પોતાની મદદ કરવા લોકોને અપીલ કરી હતી. જેમાં તેઓને પોતાના સ્પામાં મકાન માલિક દ્વારા પુરી દેવામાં આવ્યા છે અને ભાડાના અનેક ગણા પૈસા ચૂકવ્યા છતાં જબરદસ્તીથી તેમની પાસેથી જગ્યા ખાલી કરાવવામાં આવી રહી છે, તેવી રજુઆત કરી હતી.
ભાડુઆતે પોલીસની મદદ માગી : જે બાદ ભાડુઆત મલય સામંથાએ પોલીસને ફોન કરીને પોતાને છોડાવવા મદદ માંગી હતી. બોડકદેવ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મલય સામંથાને છોડાવ્યા હતા. ત્યારબાદ મલય સામંથા અને મકાન માલિકને વધુ પૂછપરછ માટે પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો મોડાસામાં ભાડૂઆતે ભાડું નહીં આપતા મકાન માલીકે બહારથી તાળું મારી દીધું
સીસીટીવી ફૂટેજ તપાસ :આ ઘટનામાં કોનો વાંક છે તે તમામ હકીકતો પોલીસ તપાસ બાદ જ સામે આવશે, જોકે આ મામલે બોડકદેવ પોલીસે ફરિયાદીના આક્ષેપને પગલે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય વેપારીઓના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. જે બાદ આ મામલે જરૂરી કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાશે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
માલિકના પત્નીની સ્પષ્ટતા : જગ્યાના માલિકના પત્ની મેહા પટેલે જણાવ્યું હતું કે મલય સામંથાને એક મહિના પહેલા જ જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે સ્પાને લોક મારવામાં આવ્યું ત્યારે મલય રસ્તામાં છે. તેવું અંદર કામ કરતા વ્યક્તિએ અમને જણાવ્યું હતું. મલય સામંથાના અનેક લેણદારો છે. તે પૈસાની હેરફેરમાં જ રચ્યોપચ્યો રહે છે. પણ અમે તેને કોન્ટ્રાકટ પૂર્ણ થતાં જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું. પરંતુ તેણે આજીજી કરતા અમે તેને થોડો વધુ સમય આપ્યો હતો. તેમ છતાં તેને અમને બદનામ કરવાનું કામ કર્યું.
બંને પક્ષોના નિવેદન લેવાયા : આ અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઇ એ. આર. ધવને જણાવ્યું હતું કે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સ્થળે પહોંચીને ભાડુઆતને મુક્ત કરાવ્યા હતા, જોકે હવે બંને પક્ષોના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.