અમદાવાદઃ દેશમાં ચાના ઉત્પાદનમાં 80 મિલિયન કિલોગ્રામ જેટલો ઘટાડો થવાની અપેક્ષા છે અને કોરોના વાઇરસ મહામારીને કારણે દેશવ્યાપી લૉકડાઉનને કારણે ખર્ચમાં કિલોગ્રામ દીઠ રૂપિયા 60થી 70નો વધારો થયો છે અને ચાના બગીચાઓના કામકાજને ભારે માઠી અસર થઈ હોવાનુ ઉદ્યોગના સંગઠનનો અંદાજ છે.
કોલકાતા- ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિએશન (FAITTA) ના ચેરમેન વિરેન શાહ જણાવે છે કે, ભારતમાં ચાનું વાર્ષિક ઉત્પાદન 1300 મિલિયન કિલોગ્રામ જેટલું થાય છે. આમ છતાં લૉકડાઉન દરમિયાન લાદવામાં આવેલાં નિયંત્રણોને કારણે ટી પ્લાન્ટેશનમાં ઓછા શ્રમિકોને કામે લગાડી શક્યા હતા.
![લૉકડાઉનથી ચાના ઉત્પાદનમાં 80 મિલિયન કિલોગ્રામનો ઘટાડો, ચાના ભાવ વધશે?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-tea-production-reduced-photo-story-7209112_25052020193537_2505f_1590415537_43.jpg)
આ કારણે માર્ચ અને એપ્રિલના ઉત્પાદનને માઠી અસર થઈ છે. અમારો અંદાજ છે કે આને પરિણામે 2020માં ચાના ઉત્પાદનમાં આશરે 80 મિલિયન કિલોગ્રામ જેટલો ઘટાડો થશે. આ કારણે ચા ઉદ્યોગને અંદાજે રૂપિયા 2,000 કરોડની ખોટ જશે. ફેડરેશને લૉકડાઉનની ચાના ઉત્પાદન, પુરવઠા અને માગ પર થયેલી અસરનું વિગતવાર અંદાજ મુક્યો છે.
ભારતમાં ચાનો વપરાશ વાર્ષિક 1080 મિલિયન કિલોગ્રામ જેટલો છે, એટલે કે માસિક 90 મિલિયન કિલોગ્રામ ગણી શકાય. ઘરમાં થતાં ચાના વપરાશ સિવાય રોડ ઉપરના ટી સ્ટોલ્સ, રેસ્ટોરન્ટસ, કાફે અને હોટલ્સનો વપરાશ આશરે 40 ટકા જેટલો એટલે કે માસિક 36 મિલિયન કિલોગ્રામ જેટલો છે. આ બધુ બે માસ સુધી બંધ રહેવાને કારણે વપરાશમાં 70 મિલિયન કિલોગ્રામ જેટલો ઘટાડો થયો હોય તેમ બની શકે છે. રિટેઈલ બજારમાં કાર્યરત ટી પેકર્સના વેચાણના આંકડા પૂરવાર કરે છે કે ઘરમાં થતાં ચાના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
વિરેન શાહે વધુમાં એમ જણાવ્યુ હતું કે, લૉકડાઉન દરમિયાન ચાના વપરાશમાં થોડો વધારો થયો હોય તેમ બની શકે છે, પણ તે ઘરની બહાર થતાં ચાના વેચાણમાં થયેલા ઘટાડાની ખોટ પૂરવા માટે પૂરતો નથી. ફેડરેશન જણાવે છે કે, આ સ્થિતિને કારણે ગયા વર્ષની તુલનામાં ચાના ભાવમાં વધારો થવાની અપેક્ષા છે.
ફાર્મ ગેટ કિંતમાં સરેરાશ રૂપિયા 60થી 70નો વધારો થાય તો તેનાથી માગ અને પૂરવઠાના વાસ્તવિક ચિત્રને અસર થશે નહી. બજારમાં અતાર્કિક વધઘટ થાય તેમ નહી હોવાને કારણે બજારમાં માગ અને પુરવઠામાં નોંધપાત્ર અસમતુલા ઉભી થાય તેવી સ્થિતિ નહી સર્જાય અને માગ અને પુરવઠો મહદઅંશે સમતોલ રહેશે.
ફેડરેશન જણાવે છે કે, ચાનો ખર્ચ જ્યારે વધી ગયો છે. ત્યારે દેશવ્યાપી લૉકડાઉનને કારણે નોકરીઓમાં ઘટાડો, પગારકાપ વગેરે થવા ઉપરાંત શ્રમિકોનુ દેશવ્યાપી સ્થળાંતર થયુ છે. આ પરિબળો ચાના પેકર્સ માટે ભારે અવરોધરૂપ છે અને રિટેઈલર્સ ચાના ભાવમાં વધારો કરી શકે છે.
ભારતના મોટા ભાગના ઘરોમાં ચા ખાણી-પીણીનું મહત્વનુ ઘટક છે, આમ છતાં લોકોની વપરાશપાત્ર આવકમાં ઘટાડો થતાં તેનો વપરાશ ઘટ્યો છે. લૉકડાઉનને કારણે ઘણી મોટી સંખ્યા ધરાવતા લોકોની આર્થિક હાડમારી વધી છે. ચાની રિટેઈલ કિંમતમાં ઘટાડો થાય તો ચાની માગમાં વધુ ઘટાડો થઈ શકે છે.