મુંબઈઃ બૉલિવૂડ એક્ટ્રેસ પાયલ ઘોષના કથિત જાતીય સતામણીના કેસમાં પોલીસ સમક્ષ હાજર થવા માટે ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ મુંબઇના વર્સોવા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. પાયલ ઘોષ સાથે કથિત જાતીય સતામણીના મામલે મુંબઈ પોલીસે અનુરાગ કશ્યપને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.

અભિનેત્રા પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આક્ષેપ કરી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તેમજ પાયલ અનુરાગ કશ્યપની ધરપકડ અંગે સતત માગ કરી રહી છે. પાયલ ઘોષે ચેતવણી આપતાં કહ્યું કે જો તેને ન્યાય નહી મળે તો તે ભુખ હડતાલ પર ઉતરશે. પોલીસ પર સવાલ ઉઠાવતાં પાયલે કહ્યું કે હજી સુધી અનુરાગની ધરપકડ કેમ કરવામાં આવી રહી નથી.
પાયલ ઘોષની આ લડાઈમાં કેન્દ્રિય પ્રધાન રામદાસ અઠાવલે પણ અવાજ ઉઠાવી રહ્યાં છે. અઠાવલેએ મુંબઈ પોલીસને શક્ય તેટલી વહેલી તકે અનુરાગ કશ્યપની ધરપકડ કરવા માગ કરી છે. તેમણે એ પણ કહ્યું કે જો મુંબઈ પોલીસ અનુરાગ કશ્યપની ધરપકડ નહી કરે તો તે ધરણાં પર બેસશે.