વડોદરાઃ શહેરમાં કોરોના પોઝિટિવના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેની સામે ધીરે-ધીરે મૃતકોના મૃતદેહોની અંતિમ ક્રિયા માટે લાઈનો લાગતી હોય છે અને મૃત્યુઆંકમાં પણ વધતા તંત્ર દ્વારા આ સમસ્યાને લઈને શહેરના વધુ ત્રણ સ્મશાન ગૃહોમાં અંતિમક્રિયા કરાવાનો નિર્ણય લીધો હતો. જે પૈકી આ વાસણા રોડ પરના આ સ્મશાન ગૃહનો સમાવેશ થયો છે.
આ સ્મશાન ગૃહમાં આવેલ ગેસ ચિતા અને ચીમની બિસમાર હાલતમાં હોવાથી અંતિમક્રિયા દરમિયાન ગેસ ચિતામાંથી ધુમાડો આસપાસના વિસ્તારમાં ફેલાતા સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવાયા ન હતા.
જેથી થોડા દિવસ બાદ સ્થાનિક રહીશોએ કોરોનાના ભોગ બનનારની અંતિમ ક્રિયાનો નહીં, પરંતુ બિસ્માર હાલતમાં રહેલ ગેસ ચિતાની મરામતની માંગને લઈને વિરોધ હતો. જ્યારે મંગળવારના રોજ રાત્રીના સમયે અંતિમ ક્રિયા માટે આવેલ મૃતદેહની અંતિમક્રિયાનો સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યાં આ મામલે સ્થાનિક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ મૃતદેહનો નિકાલ બહુચરાજી સ્મશાનગૃહ ખાતે કરવો પડ્યો હતો. બાદમાં બીજા દિવસે પણ સ્થાનીક રહીશોનો વિરોધ ચાલુ રહ્યો હતો. સ્થાનિકોએ સ્મશાન ગૃહની બહાર ધરણા યોજી પોતાનો વિરોધ પ્રગટ કરી સ્મશાન ગૃહની મરામત કરવાની માંગ કરી હતી.