- રથયાત્રા પહેલા રૂટ પર શહેરભરમાં બેરીકેડીંગ સાથે પોલીસ બંદોબસ્ત
- સગર્ભા મહિલાને હોસ્પિટલે જતા પોલીસના જવાનોએ અટકાવી
- એસ.ટી. ડેપો બહાર પ્રવાસીઓ બેસી રહેવા માટે મજબુર બન્યા
વડોદરા: શહેર સહિત રાજ્યના અનેક શહેરોમાં રથયાત્રાને શરતી મંજુરી આપવામાં આવી હતી. વડોદરામાં પોલીસે રથયાત્રાના રૂટ પર અનેક જગ્યાઓએ બેરીકેડ મારી દીધા હતા. જો કે, રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા કર્ફ્યુનુ પાલન કરાવવામાં આવશે તેવું અગાઉથી જાહેર કર્યું હતું. પોલીસ દ્વારા સમયસર રથયાત્રા પુર્ણ પણ કરી દેવામાં આવી હતી. પરંતુ કેટલીક જગ્યાએ ગેરવહીવટના કારણે અવ્યવસ્થા સર્જાઇ હતી. શહેરના ગાંધીનગર ગૃહ પાસે રથયાત્રાના સમયે સગર્ભા મહિલા હોસ્પિટલ જવા માટે નીકળી હતી. પરંતુ ઘરની બહાર નિકળતા જ તેને પોલીસનો લોખંડી બંદોબસ્ત હોવાનું ધ્યાને આવ્યું હતું. મહિલાએ દવાખાને જવાનું જણાવવા છતાં અને તેઓ સગર્ભા હોવાનું દેખાવવા છતાં પોલીસે તેમને આગળ જતા અટકાવ્યા હતા.
મીડિયા કર્મીઓની દરમિયાનગીરી
એક તબક્કે મહિલા અસમંજસમાં મુકાઇ ગઇ હતી. સ્થળ પર હાજર પોલીસ જવાનોએ મહિલાની સ્થિતિ જોવા છતાં કોઇ પણ પ્રકારે મદદ કરવાની તૈયારી દર્શાવી ન હતી. આખરે સમગ્ર ઘટના સ્થળ પર રથયાત્રાનું કવરેજ કરતા મીડિયા કર્મીઓના ધ્યાને આવતા તમામે દરમિયાનગીરી કરીને મહિલાને દવાખાને જવા સુધીની વ્યવસ્થા કરી આપી હતી.
બેરીકેડ મારીને પોલીસનો બંદોબસ્ત
વડોદરામાં સૌથી વધુ વાહનોની અવર-જવર ધરાવતા વિસ્તારોમાં કાલાઘોડા સર્કલનો સમાવેશ થાય છે. આજે વહેલી સવારથી જ કાલાઘોડા સર્કલથી એક તરફથી બીજી કોઇ તરફ જવા માટેનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહિ બેરીકેડ મારીને પોલીસનો બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો હતો. જેને કારણે કાલાઘોડા સર્કલ પર પોલીસ અને શહેરીજનો વચ્ચે મોટી સંખ્યામાં રકઝકના દ્રશ્યો સર્જાયા હતા. એક તબક્કે પોલીસ અને ટુ વ્હીલર ચાલકો વચ્ચે બોલાચાલી ઉગ્ર થતા સ્થળ પર હાજર સિનીયર પોલીસ કર્મીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી.
નિયત સમયમાં સલામતી પુર્વક રથયાત્રા પુર્ણ
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં પોલીસે સમયસર રથયાત્રા શરૂ કરી તેની નિયત સમયમાં સલામતી પુર્વક સમય પહેલા પુર્ણ કરાવી દીધી હતી. રથયાત્રામાં કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા. પરંતુ રથયાત્રાના બંદોબસ્તમાં ઠેર ઠેર લોકો સલવાયા હતા. જો શહેર પોલીસ દ્વારા થોડીક વધુ તકેદારી રાખવામાં આવી હોત તો આ પ્રકારની અવ્યવસ્થાને ટાળી શકાયું હોત.
આ પણ વાંચો: Patan Rathyatra 2021: પાટણમાં કરર્ફ્યૂ વચ્ચે ભગવાન જગન્નાથે કરી નગરની પરિક્રમા
એસ. ટી. ડેપો બહાર પ્રવાસીઓની ભીડ
વહેલી સવારથી એસ. ટી. ડેપોમાં પ્રવાસીઓની અવર-જવર શરૂ થઇ ગઇ હતી. વડોદરા ડેપો પર બહારથી આવ્યા બાદ પ્રવાસીઓની અન્યત્રે ક્યાંય પણ જઇ ન શકે તેવી સ્થિતિનું સર્જન થયું હતું. આમ, થવાને કારણે મોટાભાગના પ્રવાસીઓ ડેપોમાં જ જોવા મળ્યા હતા. તો કેટલાક પ્રવાસીઓ ડેપોની બહાર રસ્તો ખુલવાની રાહ જોઇ રહ્યા હતા. લોકડાઉન બાદ શહેરમાં કદાચ પ્રથમ વખત મોટી સંખ્યામાં પ્રવાસીઓ બહાર બેઠા હોવાની ઘટના બની હતી.