- બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર હુમલાનો વડોદરામાં વિરોધ
- વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા હિંદુ સંગઠનો સાથે રેલી નીકાળવામાં આવી
- રેલીમાં ભાજપ અને કોંગ્રેસ થયા સામેલ
વડોદરા: બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો ઉપર તેમજ હિંદુઓના મકાનોને ટાર્ગેટ કરી અત્યાચારો કરવામાં આવી રહ્યાં છે (Attacks On Hindu In Bangladesh) તેના વિરોધમાં ઇસ્કોન મંદિર (Iskcon Temple) દ્વારા હિંદુ સંગઠનો સાથે મળી શહેરના કાલાઘોડાથી કલેક્ટર કચેરી સુધી શાંતિરેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશમાં હિંદુઓની કફોડી હાલત
બાંગ્લાદેશમાં હિંદુ ધર્મના મંદિરો (Hindu Temples In Bangladesh), તથા હિંદુઓના મકાનોને ટાર્ગેટ બનાવી તોડફોડ કરી અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. સાથે જ ઇસ્કોન મંદિર ઉપર પણ હુમલો કરી ઇસ્કોન મંદિરના સાધુ-સંતો ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે. તેના કારણે હિંદુઓની સ્થિતિ બાંગ્લાદેશમાં કફોડી બની છે.
શાંતિપૂર્ણ રેલી યોજવામાં આવી
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓના વિરોધમાં ઇસ્કોન મંદિર દ્વારા હિંદુ સંગઠનો સાથે મળી વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે જ આવી ધૃણાસ્પદ ઘટનાને વખોડી કાઢવામાં આવી છે, ત્યારે આજે વડોદરા શહેરના ઇસ્કોન મંદિર તરફથી નિત્યાનંદ સ્વામીજીની આગેવાની હેઠળ શહેરના કાલાઘોડાથી કલેક્ટર કચેરી સુધી શાંતિપૂર્ણ રેલી યોજવામાં આવી હતી.
કોંગ્રેસ-ભાજપના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
રેલીમાં ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસ પણ જોડાઇ હતી. રેલીમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ, મહામંત્રી સુનિલ સોલંકી, ધારાસભ્ય સીમાબેન મોહિલે, કોંગ્રેસના શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાંગ્લાદેશની ઘટનાને વખોડી વિરોધ કર્યો હતો. ત્યારબાદ ઇસ્કોન મંદિરના નિત્યાનંદજી સ્વામી સાથે કોંગ્રેસ અને ભાજપના આગેવાનો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: વડોદરામાં ઇદે મિલાદુન્નબીની ઉજવણીમાં લોકો કોરોના નિયમો ભૂલ્યા
આ પણ વાંચો: ધર્માંતરણ અને હવાલા કૌભાંડના આરોપીઓને ઉત્તરપ્રદેશથી વડોદરા લાવવામાં આવ્યાં