સુરત: રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી શનિવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વાત સાંભળતા નથી. કારણ કે તે ગુજરાતના જમાઈ છે. તેમણે જણાવ્યું કે, તે દર વખતે પત્રના માધ્યમથી અનેક મુદ્દાઓ વડાપ્રધાનને મોકલતા હોય છે, પરંતુ વડાપ્રધાન તેમની વાત સાંભળતા નથી.
આગળ તેમણે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ અંગે કહ્યું હતું કે, ચિદમ્બરમ જૂઠ્ઠા છે, તે 106 દિવસ જેલમાં રહીને આવ્યા છે અને હવે 20 વર્ષ સુધી જેલમાં રહેશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ચિદમ્બરમ સાથે સોનિયા ગાંધી પણ જેલમાં જશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી અંગે તેમણે જણાવ્યું હતું કે, શાહીનબાગના કારણે લોકો હેરાન થઇ રહ્યા છે અને તેના કારણે ભાજપની સ્થિતી સારી થઈ રહી છે. 70માંથી 42 બેઠક ભાજપને મળી શકે છે.
1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટ અંગે તેમણે જણાવ્યું હતું કે, ક્યારેય પણ એક અર્થશાસ્ત્રી બીજા અર્થશાસ્ત્રી સાથે સંમત થતો નથી. બજેટને લઈ મારી કોઈ સલાહ લેવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ તે રામસેતુ અંગે પણ કોર્ટમાં અરજી કરવાના છે.