- ભાજપના નેતાએ જ જાહેરમાં સી.આર. પાટીલનો કર્યો વિરોધ
- ભાજપના પૂર્વ કૉર્પોરેટર રાજુ અગ્રવાલે પાટીલની આલોચના કરી
- રાજુ અગ્રવાલે પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર પાટીલ વિરુદ્ધ લખી પોસ્ટ
સુરત: ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (C.R.Patil) સામે સુરતના BJPના જ પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલે (Raju Agrawal, Former BJP corporator of Surat) મોરચો ખોલ્યો છે. સી.આર પાટીલ વિશે જાહેરમાં ટિપ્પણી કરવાની હિંમત આજના દિવસે કોઈપણ કાર્યકર્તા કે નેતામાં નથી, ત્યારે ભાજપના પૂર્વ કૉર્પોરેટર રાજુ અગ્રવાલે પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર પાટીલની આલોચના કરી છે. FB પોસ્ટ પર તેઓએ લખ્યું છે કે, સી.આર. પાટીલે પોતે ભાજપ (BJP) છે તેવું કહેવાનું બંધ કરવું પડશે.
સી.આર. પાટીલે પોતે જ ભાજપ છે તેવું કહેવાનું બંધ કરવું પડશે
![સી.આર.પાટીલે પોતે જ ભાજપ છે તેવું કહેવાનું બંધ કરવું પડશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13465804_surat_b.jpg)
રાજુ અગ્રવાલ બિલ્ડર છે અને ભાજપના કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. તેઓ એક સમયે સી.આર.પાટીલના નજીકના ગણાતા હતા. 25 ઓક્ટોબરના સોમવારે તેઓએ સાંજે એક FB પોસ્ટ લખી જેના કારણે સુરત ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે. રાજુ અગ્રવાલે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, સી.આર.પાટીલે પોતે જ ભાજપ છે તેવું કહેવાનું બંધ કરવું પડશે. કેમ કે તેઓ એવું કહીને સાડા 6 કરોડ ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે અને તેમણે ગુજરાતીઓનું અપમાન બંધ કરવું પડશે'.
પાટીલના નિવેદનોથી ભાજપના કાર્યકરોમાં નિરાશા ફેલાઈ
પ્રથમ વખત એવું થયું છે કે, કોઈ બીજેપી નેતાએ જ જાહેરમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો વિરોધ કર્યો છે. રાજુ અગ્રવાલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી સી.આર પાટીલના નિવેદનોના કારણે ભાજપના કાર્યકર્તાઓમાં નિરાશા ફેલાઈ રહી છે. આવી જ રીતે વડોદરાના મેયરને જાહેર મંચ પર જે કહેવામાં આવ્યું તે ખોટું હતું. હું ભારતીય જનતા પાર્ટીની ફરજ બજાવું છું અને તેની વિચારધારામાં વિશ્વાસ રાખું છું, પરંતુ આ પહેલા કોઈપણ પ્રદેશ પ્રમુખે પોતાના કાર્યકરો સાથે આ પ્રકારનું વલણ અપનાવ્યું નથી.
આ પહેલા પણ પાટીલ વિરુદ્ધ લખી ચૂક્યા છે પોસ્ટ
ઉલ્લેખનીય છે કે રાજુ અગ્રવાલે FB પર સી.આર. પાટીલ વિરુદ્ધ કંઇ પ્રથમવાર પોસ્ટ નથી લખી, આ પહેલા પણ તેમણે લગભગ 2 પોસ્ટ લખી હતી જે ભાજપ પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ હતી. 25 ઓક્ટોબરે તેમણે લખેલી પોસ્ટને 210થી વધુ લાઈક્સ મળી છે અને 285થી વધુ કોમેન્ટ્સ થઈ છે. તેમની આ પોસ્ટ 15 લોકોએ શેર પણ કરી છે.
આ પણ વાંચો: મોદી સમાજ પર વિવાદીત ટિપ્પણી મામલો : સુરત કોર્ટે રાહુલ ગાંધીને આગામી તા.29મીએ હાજર રહેવાનો હુકમ કર્યો
આ પણ વાંચો: ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો: લગ્ન પતાવીને પરત ફરી રહેલી વાનનો અકસ્માત, વરરાજાના પિતા સહિત બેના મોત