- કોરોના મહામારી વચ્ચે સુરત સમિતિનો મહત્વનો નિર્ણય
- જાહેરમાં છઠ્ઠ પૂજાનું આયોજન કરાશે નહીં
- લોકો પોતાના ઘરે જ કરશે છઠ પૂજા
સુરત: સુરતમાં કોરોના મહામારીના કારણે આ વખતે છઠ્ઠ પૂજાનું આયોજન જાહેરમાં થશે નહીં. છઠ્ઠ પૂજા સમિતિ દ્વારા લેવાયેલા નિર્ણયના કારણે હવે સુરતમાં વસતા સમસ્ત બિહાર અને ઝારખંડ સમાજના લોકો ઘરે જ છઠ્ઠ પૂજા કરશે.
દર વર્ષે તાપી નદીના કિનારે છઠ્ઠ પૂજાનું કરવામાં આવે છે આયોજન
સુરતમાં બિહાર અને ઝારખંડના આશરે આઠ લાખ લોકો રહે છે. બિહાર બાદ મુંબઈ અને સુરતમાં છઠ્ઠ પૂજાની રોનક જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે કોરોના વાયરસની મહામારીના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં છઠ પૂજા કરવા માટેની પરવાનગી ન આપતા શહેરના તમામ છઠ્ઠ પૂજા સમિતિ દ્વારા કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. દર વર્ષે તાપી નદી કિનારે છઠ્ઠ પૂજા માટેસમિતિ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ આ વખતે પાલિકા દ્વારા પરવાનગી ન મળતાં તાપી નદી કિનારે આ વખતે પૂજા માટે કોઈ પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે નહીં.
ઘરે જ કરાશે છઠ્ઠ પૂજાનું આયોજન
સાર્વજનિક છઠ્ઠ પૂજા સમિતિએ લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ઘરે છઠ્ઠ પૂજા કરે. આ વખતે પરવાનગી ન મળવાના કારણે સમિતિ દ્વારા કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. સાથે લોકોમાં આ સંદેશ પહોંચે એ માટે જે વિસ્તારમાં બિહાર સમાજના લોકો રહે છે ત્યાં પોસ્ટર અને બેનર લગાવીને જાણકારી આપવામાં આવી રહી છે.