- સુરતમાં 13 વર્ષના સગીરે 9 વર્ષની કરી હત્યા
- ભાઈને માર માર્યાની અદાવતમાં કરી હત્યા
- પોલીસે આ અંગે તપાસ હાથ ધરી
સુરત: શહેરના ભેસ્તાન ખાતે સરસ્વતી આવાસમાં રહેતા શ્રીલાલ યાદવ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના એકના એક પુત્રનું અંશુનો મૃતદેહ ગુરુવારે બપોરે ઘર નજીક ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. અંશુ સવારે ઘરેથી નીકળ્યા બાદ પરત નહીં આવતા તેની માતાએ શોધખોળ કરી હતી. આ દરમિયાન માતાએ તેના પુત્ર અંશુને ઝાડી ઝાંખરામાં લોહીના ખાબોચિયામાં જોઈ મૃત જોઈ બૂમાબૂમ કરી હતી. મહિલાનો અવાજ સાંભળીને આસપાસના રહીશો દોડી ગયા હતા આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ હત્યા તેની સાથે રમી રહેલા 13 વર્ષીય કિશોરે કરી હોવાનું સામે આવ્યું
આ ઘટના અંગેે પોલીસને તપાસ દરમિયાન બાળકના માથામાં લાકડાના ફટકા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરતાં બાળકની હત્યા તેની સાથે રમી રહેલા 13 વર્ષીય કિશોરે કરી હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે કિશોરની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે અઠવાડિયા પહેલા અંશુએ તેના નાના ભાઈને માર માર્યો હતો જેનો બદલો લેવા માટે તેણે અંશુને માથામાં લાકડાના બે ફટકા માર્યા હતા.
પુત્રને પાંચ મહિના પહેલા જ સુરત લવાયો
અંશુ ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદ ખાતે તેના દાદા સાથે રહેતો હતો. તે ધોરણ ચારમાં અભ્યાસ કરતો હતો. એક મહિના પહેલા જ શ્રીલાલ પુત્રને સુરત લઈ આવ્યા હતા. બાળકની માતાનું તે ત્રણ વર્ષનો હતો ત્યારે જ કમળામાં નિધન થયું હતું. બાળકના પિતાએ પાંચ મહિના પહેલા જ બીજા લગ્ન કર્યા હોવાથી પુત્રને સુરત લાવવામાં આવ્યો હતો.