- કોરોના દર્દીઓ હતાશાને કારણે ભરે છે ખોટા પગલા
- રાજકોટની સમરસ હોસ્પિટલમાં લગાવવામાં આવી રક્ષણાત્મક જાણી
- ફાયર બ્રિગેડને પણ મળશે મદદ
રાજકોટ: કોરોનાનો મૃત્યુદર માત્ર બે થી ત્રણ ટકાનો જ હોવા છતાં કોરોનાના દર્દીઓ હતાશાને કારણે ન કરવાનું કરી બેસતા હોય છે. રાજકોટના કોરોનાના દર્દીઓ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યરત કરાયેલી નવ માળની સમરસ હોસ્પિટલમાં હતાશાનો ભોગ બનેલ દર્દી દૂર્ઘટના ન આચરી બેસે તે માટે રક્ષણાત્મક જાળી બેસાડવામાં આવી છે.
દર્દીઓ આપઘાતનો પ્રયાસ ન કરે તે માટે જાળી નખાઈ
રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર નાનામાં નાની બાબતોની પણ દરકાર કરીને કેટલી અમૂલ્ય માનવીય ફરજ બજાવી રહયું છે, તેનું આ જીવંત ઉદાહરણ છે. કોરોનાની નિરાશાનો ભોગ બનેલ એક મહિલા દર્દીએ તાજેતરમાં લીધેલા એક અફસોસજનક પગલાં બાદ કલેક્ટર રેમ્યા મોહને અન્ય દર્દીઓ આવી હતાશાનો શિકાર બનીને કોઇ ખોટું કૃત્ય ન કરી બેસે તે માટે સમગ્ર પરિસરની આજુબાજુ સંરક્ષણાત્મક જાળી નાખવાના આદેશો કર્યા હતો.
આ પણ વાંચો : રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા મામલે ડોક્ટરને માર મરાયો
ચાર દિવસના ટૂંકા ગાળામાં નાખી જાળી
માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં પહેલા તથા ચોથા માળે તાત્કાલિક અસરથી જાળી ફીટ કરી દેવામાં આવી છે. સમરસ હોસ્પિટલના નોડલ ઓફિસર ચરણસિંહ ગોહિલે જાતે દેખ-રેખ રાખીને જાળી લગાવવાનું આ કામ યુધ્ધના ધોરણે પાર પાડયું છે. આ જાળીથી દુર્ઘટના બનતી અટકશે, ઉપરાંત, ફાયર સેફટીમાં પણ આ જાળી મહત્વની પુરવાર થશે. જિલ્લા વહીવટીતંત્રના માનવીય અભિગમનો આ ઉત્તમ નમૂનો છે, જેમાં કોરોનાના દર્દીઓનો ઝીણવટભર્યો ખ્યાલ રાખીને તેમને પુનઃ સ્વસ્થ થવા માટે સહ્રદયતાથી મદદ કરવામાં આવે છે.