- રાજ્યના ખેડૂતોને લઇને ભારતીય કિસાન સંઘ આવ્યું મેદાનમાં
- ખાતરમાં બિયારણની સબસીડી શરૂ કરો
- બેન્કિંગના કામો સરળ બનાવવા આવેદનપત્રમાં કરાઈ માંગ
જૂનાગઢ: ભારતીય કિસાન સંઘ આજે ખેડૂતોના કેટલાક પડતર મુદ્દાઓ તેમજ તાજેતરમાં જ ખાતરમાં થયેલા ભાવ વધારો અને બિયારણમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડીને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેના વિરોધમાં આજે જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનને આવેદનપત્ર પાઠવીને રાજ્ય સરકાર ખેડૂતલક્ષી નીતિઓમાં રાજ્યના ખેડૂતને પરેશાન કરવાનું બંધ કરીને તાકિદે જે સહાય વર્ષોથી ખેડૂતો માટે શરૂ કરવામાં આવી હતી તેને ફરીથી શરૂ રાખે તેવી માંગ કરી છે. રાજ્ય સરકાર ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખેડૂતોને વારંવાર પરેશાન કરી રહ્યા છે. ભારતીય કિસાન સંઘ સરકાર સામે ખેડૂતોના મુદ્દાને લઈને લાલ આંખ કરી રહી છે.
આ પણ વાંચો: ભારતીય કિસાન સંઘની સાબરકાંઠાથી ગાંધીનગર જઈ રહેલી રેલીને પોલીસે અટકાવી
રાજ્ય સરકાર ખેડૂતલક્ષી કોઈ હકારાત્મક નિર્ણય નહીં કરે તો કિસાન સંઘ કરશે ઉગ્ર આંદોલન
તાજેતરમાં જ ખાતરના ભાવ વધારાના મુદ્દે હવે રાજ્યના ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે. આગામી દિવસોમાં ખેડૂતોનો આ રોષ ઉગ્ર બને તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આવા સમયે ભારતીય કિસાન સંઘે પણ ખેડૂતોના સમર્થનમાં રાજ્ય સરકારને ચીમકી આપતા હોય તે પ્રકારે આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂત ખાતરના ભાવ વધારાનો પ્રશ્ન હજૂ વણ ઉકેલ્યો છે. ત્યાં રાજ્ય સરકારે સરકારી બિયારણો પર મળતી સબસીડી પણ બંધ કરી દીધી છે. જેને લઇને પણ કિસાન સંઘ ઉગ્ર બની રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં ખેડૂતના મુદ્દાને લઈને ભારતીય કિસાન સંઘ રાજ્ય સરકાર સામે આંદોલન પર ઊતરી શકે છે.
આ પણ વાંચો: બનાસકાંઠાઃ ભારતીય કિસાન સંઘે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું