- કોરોના મુક્ત ગામોના સરકારી અભિયાનની પોલ ખોલતું જૂનાગઢનું ઈવનગર ગામ
- ગામમાં 150 કરતાં વધુ એક્ટિવ કેસની સામે 20 જેટલા લોકોના થયા મોત
- ગામમાં રસીકરણ અને કોરોના ટેસ્ટિંગ કામગીરી સતત મંદ ગતિએ ચાલતા સરપંચે વ્યક્ત કર્યો આક્રોશ
જૂનાગઢ : રાજ્ય સરકારે ગામડામાં ફેલાઈ રહેલા સતત કોરોના સંક્રમણને ધ્યાને લઇને મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનની શરૂઆત કરાવી છે. સરકારના આ અભિયાનની પોલ જૂનાગઢ જિલ્લાનું ઈવનગર ગામ ખોલી રહ્યું છે. અંદાજિત 3000 કરતા વધુ વસ્તી ધરાવતા ઈવનગર ગામોમાં રસીકરણ અને કોરોના ટેસ્ટીગને લઈને જે ઉદાસીન વલણ દાખવવામાં આવ્યું છે. તેને લઈને ગામના સરપંચ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. નાના એવા ઈવનગર ગામમાં 150 કરતા વધુ એક્ટિવ કેસ અને 20 જેટલા મોત થયા છે. એને લઈને ગામના સરપંચ સરકાર સમક્ષ આરોગ્યલક્ષી કામગીરી તાકીદે વેગવંતી બનાવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : 'મારુ ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન - વાડલામાં સરકારની ઉદાસીનતા આવી સામે
ઈવનગર ગામમાં રસીકરણથી લઈને ટેસ્ટિંગ સહિત અનેક સુવિધાઓનો અભાવ
રાજ્ય સરકાર દ્વારા ગામડાઓમાં સતત ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે ટેસ્ટિંગ અને વેક્સિનેશનને ખૂબ મોટું પ્રાધાન્ય આપી રહ્યા છે. રાજ્ય સરકારનો દાવો છે કે, ટેસ્ટિંગ અને રસીકરણ મારફતે કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી શકાય છે, પરંતુ દિવા તળે અંધારામાં ઈવનગર ગામમાં ટેસ્ટિંગના નામે પાછલા કેટલાય દિવસોથી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. વધુમાં રસીકરણને લઈને જે પ્રારંભના સમયમાં સરકાર અને આરોગ્ય વિભાગ ઉત્સાહ દર્શાવી રહ્યા હતા, તેમાં પણ હવે ઓટ આવતી જોવા મળી રહી છે. પાછલા કેટલાક દિવસોથી ટેસ્ટિંગની સાથે રસીકરણ પ્રક્રિયા પણ સદંતર ઠપ બનતી જોવા મળી રહી છે. જેને લઇને ગામડામાં કોરોના સંક્રમણ કોઈ રીતે અટકાવી શકાય તેને લઈને ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે.