- જૂનાગઢ મનપાની વોર્ડ નંબર 15ની પેટા ચૂંટણી માટે પ્રચાર શરૂ
- ભાજપે બેઠક જાળવી રાખવા તો કોંગ્રેસે બેઠક પરત મેળવવા ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ
- કોંગ્રેસે પૂર્વ મેયર પર દાવ ખેલ્યો છે તો બીજી તરફ ભાજપે યુવાનને ચૂંટણી જંગમાં જોમ્યો છે
જૂનાગઢઃ મનપાના વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર ડાયાભાઈ કટારાનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. જેના પર હવે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેથી ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ભાજપ પાસે વોર્ડ નંબર 15ની આ બેઠક ગત ચૂંટણીમાં તેમની પાસે હતી તેને જાળવી રાખવા માટે કમર કસતી જોવા મળી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ તેની આ પરંપરાગત બેઠક ગત ચૂંટણીમાં તેમણે ગુમાવી હતી તેને પરત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સહિત તેમના કાર્યકરોએ આજે ગુરુવારથી ચૂંટણી પ્રચારના વાજતે ગાજતે ઢોલ-નગારા સાથે શ્રી ગણેશ કર્યા છે.
ભાજપે મૃતક કોર્પોરેટરના પુત્ર પર ઉતારી પસંદગી
ભાજપ કરતાં કોંગ્રેસ માટે આ બેઠક જીતવી શાખનો પ્રશ્ન બની રહ્યો છે. ગત કેટલાય વર્ષથી આ વિસ્તારના સામાજિક અગ્રણી અને જૂનાગઢ મનપાના પૂર્વ મેયર લાખાભાઇ પરમાર અહીંથી સતત કોર્પોરેટર બનતા આવ્યા છે, પરંતુ ગત ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. જેથી કોંગ્રેસ આ બેઠક ફરી તેમની પાસે આવે તે અંગેના તમામ સોગઠાઓ ગોઠવતી જોવા મળી રહી છે, તો બીજી તરફ ભાજપે પણ પૂર્વ કોર્પોરેટર ડાયાભાઈ કટારાના પુત્ર નાગજીભાઈ કટારાને ઉમેદવાર બનાવીને તેમના અવસાન બાદ ખાલી પડેલી બેઠક માટે સહાનુભૂતિના મત મળે અને આ બેઠક ફરી એક વખત ભાજપના ઉમેદવાર જીતવામાં સફળ બને તે માટેની રણનીતિ ઘડીને ચૂંટણી પ્રચારના આજથી શ્રી ગણેશ કરી દીધા છે.