- વિસાવદરમાં લેરિયા ગામમાં આપની જન સંવેદના યાત્રા પર થયેલા હુમલાનો મામલો
- વિસાવદર પોલીસમાં બન્ને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી
- સમગ્ર મામલાને લઈને પોલીસે હાથ ધરી વધુ તપાસ
જૂનાગઢઃ ગઈકાલે વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા પર હુમલો થવાની ઘટના સામે આવી હતી, ત્યાર બાદ આપના કાર્યકરોએ વિસાવદર પોલીસ મથકમાં અડીંગો જમાવ્યો હતો અને હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. આ મામલો વિસાવદર પોલીસ સ્ટેશનમાં મોડી રાત સુધી ચાલ્યો હતો.
પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ધસી ગયો હતો
આ હૂમલો થતા જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ધસી ગયો હતો અને સમગ્ર મામલાને લઇને તપાસ હાથ ધરી હતી, ત્યારે ગઇ રાત્રિના સમયે વિસાવદર પોલીસ મથકમાં આપના કાર્યકરો દ્વારા હત્યા કરવાની કોશિશની ફરિયાદ તેમજ સામા પક્ષે માર મારવાની ફરિયાદ નોંધાવતા મામલો હવે વધુ તુલ પકડી રહ્યો છે.
જન સંવેદના યાત્રામાં પ્રદેશના મોટાભાગના નેતાઓ હતા હાજર
જનસંવેદના યાત્રામાં તાજેતરમાં જ પત્રકારમાંથી પોલિટિશિયન બનેલા ઈશુદાન ગઢવી, ઉદ્યોગપતિ મહેશ સવાણી અને જન અધિકાર મંચના પ્રમુખ અને આમ આદમી પાર્ટી(AAP)માં તાજેતરમાં સામેલ થયેલા પ્રવિણ રામ સહિત અનેક કાર્યકરો યાત્રામાં જોડાયા હતા. હુમલા સમયે આપના એક કાર્યકરને ગંભીર ઈજાઓ થઈ છે. જોકે, સદનસીબે ઈશુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવિણ રામને કોઈ ઈજા થઈ ન હતી.
આ પણ વાંચોઃ ભાજપ દ્વારા મારા અને ઈસુદાન ગઢવી પર હુમલો કરવાનો પ્રયાસ : ગોપાલ ઈટાલિયા
ભાજપ અને ભાજપના કાર્યકરોનો હાથ હોવાનો કરાયો આક્ષેપ
આ હુમલાને લઈને હવે રાજકીય ગરમાવો પણ જોવા મળી શકે છે. આપના ટોચના નેતાઓએ હુમલા પાછળ ભાજપ અને ભાજપના કાર્યકરોનો હાથ અને દોરી સંચાર હોવાનો સ્પષ્ટ આક્ષેપ કર્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં સમગ્ર હુમલા ( Attack ) બાદ પોલીસ ફરિયાદને અંતે પોલીસ આરોપીને હુમલાખોર તરીકે પકડી પાડે છે કે કેમ તેમજ હુમલામાં રાજકીય પક્ષોની સામેલગીરી છે કે નહીં તેને લઈને આગામી દિવસોમાં વધુ કેટલાક ખુલાસાઓ થઈ શકે છે.
આ પણ વાંચોઃ EXCLUSIVE INTERVIEW : આપમાં જોડાયેલા પ્રવિણ રામે કરી ETV Bharat સાથે ખાસ વાતચીત
આ એક રાજકીય સ્ટંટ છે જેથી તેઓ લોકોની સહાનુભૂતિ મેળવી શકેઃ ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર
જૂનાગઢમાં આમ આદમી પાર્ટી પર હુમલો થયો છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ હુમલાનો આક્ષેપ ભાજપ ઉપર કર્યો હતો. ભાજપ તરફથી પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, આ એક રાજકીય સ્ટંટ છે. જેથી તેઓ લોકોની સહાનુભૂતિ મેળવી શકે. ફક્ત કેસરી ખેસ પહેરવાથી કોઈ ભાજપનું કાર્યકર ન હોઈ શકે. આમ છતાં આ ઘટનાની ન્યાયિક તપાસ થાય અને દોષિતોને સજા મળે તેવું ઇચ્છી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ જે કંઈ ભૂતકાળમાં કહ્યું તેને લઈને આ ઘટના ઘટી છે. પાર્ટીએ સારી ઇમેજ રાખીને પ્રતિનિધિ રાખવો જોઈએ.
આ પણ વાંચોઃ Junagadh : જન અધિકાર મંચના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ AAP માં જોડાયા