ગાંધીનગર: લોકડાઉન અને કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ અને કૉલેજો બંધ રાખલામાં આવી છે, પરંતુ શિક્ષણ વિભાગ હવે 15 જૂનથી ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓને ડીડી ગિરનાર ભણાવશે. જેના માટે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે સવારે 11થી 11.30 સુધી અને ધોરણ 8થી 12ના વિધાર્થીઓ માટે દિવસ દરમિયાન 1 કલાકનો વર્ગ રાખવામાં આવશે.
આ અંગે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, મહામારીના કપરા સમયમાં હવે વિદ્યાર્થીઓને ડીડી ગિરનારના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓના ઘરે ટીવી નથી, તેવો વિદ્યાર્થીના ઘરે પાઠ્યપુસ્તક પહોંચાડીને અભ્યાસ શરૂ કરવામાં આવશે.
આ સાથે જ જે રીતે ખાનગી સ્કૂલો દ્વારા ફીની ઉઘરાણી શરૂ કરવામાં આવી છે, તેને ધ્યાનમાં લઇનમાં રાખી રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર માસ સુધી ફી ભરવા માટે વાલીઓને રાહત આપવામાં આવી છે. આમ છતાં જો કોઈ શાળા સંચાલકો વાલીઓને દબાણ કરશે, તો તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

શાળા સંચાલકો સાથે રાજ્ય સરકાર દ્વારા ઔપચારિક બેઠક યોજવામાં આવી હતી. જેમાં ફી નહીં વધારવા તથા ફી માટે દબાણ નહીં કરવા માટેની પણ સમજૂતી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર શાળા અને કૉલેજો શરૂ કરવા માટે નવી ગાઇડ લાઇન્સ બહાર પાડવામાં આવશે, ત્યારબાદ જ શાળાઓ શરૂ થશે. આ ઉપરાંત નવી ગાઇડ લાઇન્સ જાહેર થયા સુધી રાજ્યના તમામ વિદ્યાર્થીઓને ડીડી ગિરનારના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવશે.