ગાંધીનગર: કોવિડ-19ની મહામારી અંતર્ગત તાજેતરમાં કોરોનાના દર્દીઓની સારવારમાં મેડિકલ ઓક્સિજન ખૂબ જ મહત્વપુર્ણ છે. એટલું જ નહીં આવા દર્દીઓની વધતી જતી સંખ્યાના કારણે મેડિકલ ઓક્સિજનની માગ ખૂબ વધી છે. જેથી મેડિકલ ઓક્સિજનની માગને પહોંચી વળવા રાજ્યમાં વિશેષ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ઓક્સિજન ઉત્પાદક એકમો માત્ર 50 ટકા સુધીનો જ ઓક્સિજન ઔદ્યોગિક વપરાશ માટે આપી શકશે.
આ અંગે ઔષધ નિયમન કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું કે, અનિવાર્ય સંજોગોમાં જો મેડિકલ ઓક્સિજનની તાકીદે જરૂરીયાત ઉભી થાય તો પ્રથમ પ્રાથમિકતા મેડિકલ ઓક્સિજનને આપવાની રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ IPC કલમ 188 મુજબ 6 મહિનાની સજા તેમજ દંડની જોગવાઈ છે.
કોશિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં મેડીકલ ઓક્સિજનનો હાલમાં વપરાશ આશરે ૨૫૦ ટન જેટલો છે અને મેડીકલ ઓક્સિજનના લાયસન્સ ઉત્પાદકો કુલ 52 છે. તેમજ રાજ્યમાં ઔધોગિક ઉત્પાદન કરતા ઉત્પાદકો આશરે 50 કાર્યરત છે. મેડીકલ ઓક્સિજનની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે જાહેરનામુ બહાર પાડીને ચોક્કસ નિર્દેશો જાહેર કર્યા છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યના ઓક્સિજનના ઉત્પાદકોએ કોરોનાની મહામારીને પહોંચી વળવા તેઓની મહત્તમ ક્ષમતા મુજબ અવિરતપણે ઓક્સિજનનુ ઉત્પાદન કરવાનુ રહેશે. તેઓના કુલ ઉત્પાદનના 50ટકા ઓક્સિજન ફરજિયાતપણે મેડીકલ ઓક્સિજનના ઉત્પાદન માટે ફાળવવાનો રહેશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ઉત્પાદક એકમો માત્ર 50 ટકા સુધીનો ઓક્સિજન ઔદ્યોગિક વપરાશ માટે આપી શકશે. આમ છતાં અનિવાર્ય સંજોગોમાં જો મેડિકલ ઓક્સિજનની તાકીદે જરૂરીયાત ઉભી થાય તો પ્રથમ પ્રાથમિકતા મેડિકલ ઓક્સિજનને આપવાની રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ IPC કલમ 188 મુજબ કસુરવારો વિરુદ્ધ 6 મહિનાની સજા તેમજ દંડની જોગવાઈ છે. જેની અમલવારી માટે કડક ચેકિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.