- ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચ્યું
- 24 કલાકમાં જ પરત ખેંચ્યું
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથેની બેઠક બાદ લીધો નિર્ણય
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કેબિનેટ બેઠક પહેલા મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન ખાતે બેઠક કરી હતી. આ બેઠક બાદ મનસુખ વસાવાએ પક્ષ અને સરકાર સામે કોઇ જ પ્રકારની નારાજગી નહિં હોવાની પણ વાત કરી હતી, જ્યારે તેઓએ રાજીનામું ફક્ત બીમારીના કારણે આપ્યું હોવાનું પણ નિવેદન સાંસદ મનસુખ વસાવાએ આપ્યું હતું.
સરકારની નીતિ સામે કોઈ નારાજગી નહીં: મનસુખ વસાવા
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સરકારની જે નીતિ રીતિ છે, તેની સામે કોઇ જ પ્રકારની નારાજગી નથી. અત્યારે મનસુખ વસાવાએ ઇકો સેન્સેટીવ ઝોન મુદ્દે રાજીનામું આપ્યું હોવાની વાત પણ તેમના પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ બાબતે વસાવાએ જણાવ્યું હતું કે, ઈકો સેન્સીટીવ ઝોન મુદ્દે રાજીનામું આપવામાં ન હોતું આવ્યું, પરંતુ છેલ્લા કેટલાય સમયથી મારી તબિયત ખરાબ રહેતી હોવાના કારણે ડોક્ટરની સલાહ પ્રમાણે મારે આરામની જરૂર હોવાથી મે રાજીનામું આપ્યું હતું.
હવે સાંસદ તરીકે યથાવત રહેશે મનસુખ વસાવા
મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બેઠક કર્યા બાદ ભરૂચના લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચ્યું હતું અને નિવેદન આપતા જણાવ્યું કે, તેઓ રાજીનામું પરત ખેંચે છે અને તેઓ લોકસભાના સાંસદ તરીકે પોતાનો કાર્યકાળ પૂરો કરશે. જોકે, વર્ષ 2024માં આવનારી લોકસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી ચૂંટણી લડશે કે નહીં તે બાબતે તેઓએ મૌન સેવ્યું હતું.
ઇકો સેન્સેટીવ મુદ્દે ગણપત વસાવાએ કરી હતી બેઠક
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલે સાંસદ મનસુખ વસાવાએ ઇકો સેન્સિટીવના મુદ્દે રાજીનામું આપ્યા હોવાની વાત કરી હતી, ત્યારે મંગળવારે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ પણ ગણતરીની મિનિટોમાં જ વનવિભાગ સાથે ઈકો સેન્સીટીવ ઝોન મુદ્દે બેઠક પણ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈકો સેન્સીટીવ ઝોન મુદ્દે પણ નિરાકરણ આવી ગયું હોવાનું પણ સામે આવી રહ્યું છે.