ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર જે રીતે વધી રહ્યો છે, તેવી જ રીતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપર અનેક પ્રહારો થઈ રહ્યાં છે. ગઈકાલે રાજ્યના મુખ્યપ્રધાન બદલાઈ ગયા છે, વિજય રૂપાણીની જગ્યાએ મનસુખ માંડવિયા આવી રહ્યાં છે, તેવી અફવાએ વેગ પકડ્યું હતું, ત્યારે આજે ફરીથી સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને વિજય રૂપાણીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતાં.
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વ પર શંકા કરીને ટ્વીટ કર્યું હતું કે, ગુજરાત રાજ્યને કોરોનાથી બહાર આવવા માટે રાજ્યના મુખ્યપ્રધાન તરીકે આનંદીબેન પટેલ પરત ફરે તો જ ગુજરાત રાજ્ય કોરોનાના આંકડાની કેઝ્યુલ્ટીથી સ્ટેબલ (રિકવર) થશે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન નહીં થાય તેના જવાબ આપી દીધો હતો, પરંતુ આજે ફરીથી સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરતાં કોરોના વાઈરસના કહેર વચ્ચે ફરીથી ગુજરાતના ભાજપની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ વર્તમાન સમયમાં ઉત્તરપ્રદેશમાં રાજ્યપાલ તરીકે કાર્યરત છે.