અમદાવાદ: અમદાવાદ શહેરની ઓળખ સાબરમતી નદી છે. કારણકે, અમદાવાદ શહેર સાબરમતી નદીના તટ પર વસેલું છે. સાબરમતી નદી અમદાવાદ શહેરને પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગોમાં વહેંચે છે. આ બંને વિભાગોને આ નદી પર મુખ્ય સાત બ્રિજ દ્વારા જોડવામાં આવેલા છે. સામાન્ય દિવસોમાં આ ઔદ્યોગિક શહેરમાં પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ તરફ સતત ટ્રાફિકની અવરજવર રહેતી હોય છે. તો ઉનાળાના સમયે તો ખાસ કરીને સાબરમતી નદી પર બનાવવામાં આવેલા રિવરફ્રન્ટ અને રિવરફ્રન્ટ ગાર્ડન નાગરિકો માટે ફરવાનું અને રજાઓના તેમજ વેકેશનમાં આનંદ મનાવવાનું નજીકનું અને મનગમતું સ્થળ હોય છે.

આ વખતે કોરોના વાઈરસના કારણે અપાયેલા લોકડાઉનમાં રિવરફ્રન્ટ અને રિવરફ્રન્ટ ગાર્ડન નાગરિકો વગર સુના પડ્યા હતાં. આ સમયગાળા દરમિયાન પ્રકૃતિએ તેનું કાર્ય કર્યું છે. માણસોની અવરજવર ઓછી હોવાથી અને ઔદ્યોગિક કારખાનાઓ બંધ હોવાથી સાબરમતી નદીમાં પ્રદૂષણ સ્તર ખૂબ નીચું ગયું છે અને નદી હવે ચોખ્ખી બની છે.

સાબરમતી રિવરફ્રન્ટના વૉક-વે પણ ચોખ્ખા છે. જેની પાછળનો શ્રેય મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઇ કર્મીઓને પણ જાય છે, તો બીજી તરફ રિવરફ્રન્ટ ઉપર જે નાના છોડ અને વૃક્ષો વાવવામાં આવે છે, તેની પણ સતત માવજત લોકડાઉનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા તેની આભા અને છટા પણ અલગ બન્યા છે, પરંતુ હવે 1લી જૂનથી ગુજરાત સહિત સમગ્ર દેશને અનલોક કરવાનું કાર્ય શરૂ થવાનું છે.ત્યારે ચોખ્ખી થયેલી સાબરમતી નદીને પ્રદૂષિત ન કરવી તે અમદાવાદના નાગરિકોની ફરજ બને છે.

એમ પણ પ્રકૃતિએ કોરોના વાઈરસ મોકલીને માનવને સંદેશો આપી દીધો છે કે, તમે ગમે તેટલી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધી જાઓ, પરંતુ પ્રકૃતિના એક વાર આગળ મનુષ્ય હતો ન હતો થઈ જાય છે.