અમદાવાદ: ગત શનિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હાઇકોર્ટની કમિટી દ્વારા યોજાયેલી બેઠકમાં હાઇકોર્ટને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી. ત્રણથી વધુ કોરોના પોઝિટિવ વ્યક્તિ કોઈ એક જગ્યા પરથી આવે ત્યારે તેને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઇકોર્ટને ગુરુવારે સેનેટાઇઝ કરવામાં આવશે.
હાઈકોર્ટે બહાર પાડેલા જાહેરનામામાં જણાવવમાં આવ્યું છે કે 8,9 જુલાઈની તમામ મેટરની સુનાવણી 13 અને 14 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. અગાઉ જ્યુડિશિયલ વિભાગના CFCમાં કામ કરનાર કર્મચારીના કોરોના પોઝિટિવ બાદ અન્ય 6 કર્મચારીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાઇકોર્ટ પરિસરમાં ફફડાટનો માહોલ છવાઈ ગયો છે. આ તમામ કર્મચારીઓને મેડિકલ સારવાર લેવાની પણ હાઈકોર્ટ તરફથી ભલામણ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, સોમવારથી હાઈકોર્ટ વધુ બેન્ચ સાથે સુનાવણી હાથ ધરવામાં આવવાની હતી. જો કે, શનિવારે નવા 6 કેસ આવતાં હવે ફરીવાર કાર્યવાહી ત્રણ દિવસ સુધી સ્થગિત કરવામાં આવી છે. હાઇકોર્ટે સાવચેતીના ભાગરૂપે આ તમામ કર્મચારીઓના સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓને હોમ-ક્વોરન્ટાઇન થવાનો ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી દ્વારા આદેશ કરાતાં હવે નવા સ્ટાફ થકી કામગીરી કરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટની રજીસ્ટ્રીએ કોરોના પોઝિટિવ વ્યક્તિની સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ-ક્વોરન્ટાઇન અને ડોક્ટરની સલાહનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ કર્યો છે.