અમદાવાદઃ શહેરના વાડજ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એ. રાઠવાની ગેરવર્તણૂક બદલ બદલી કરવામાં આવી છે, ત્યારે હવે તેમની ખોટી રીતે બદલી કરવામાં આવી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે. જેના વિરુદ્ધમાં શાંતિ રીતે પીઆઈ રાઠવાની તરફેણમાં સ્ટેટ્સ અને પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વાડજ પીઆઈ રાઠવાએ કલોલના સ્વામીની ગાડી રોકી હતી. જેમાં તેમના 4 માણસો હતા અને તેમની સાથે પીઆઇને બોલાચાલી થઇ હતી. જેમાં પીઆઇએ ડ્રાઇવરને માર્યો હોવાનો આક્ષેપ છે. જે તથ્ય જણાતા પીઆઇને તેમની ગેરવર્તણૂક બદલ બદલી કરવામાં આવી છે, ત્યારે પીઆઈ પોતાની ફરજ જ નિભાવી રહ્યાં હતા, ત્યારે કલોલના સ્વામીએ પીઆઇને રાજકીય દબાણ ઉભુ કરાવીને બદલી કરવી હોવાની વાત પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે.

પીઆઇની બદલીને પગલે પોલીસકર્મીઓ દ્વારા પીઆઈ રાઠવાની તરફેણમાં વૉટ્સએપમાં પીઆઈના ફોટા સાથે I SUPPORT PI RATHVA SIR લખેલ સ્ટેટ્સ મૂકવામાં આવ્યાં છે તથા એક પત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કલોલના ડી.વી.સ્વામીને સંબોધતો પત્ર લખવામાં આવ્યો છે. પત્ર વિષયમાં બીજા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવા બાબત લખવામાં આવ્યું છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'છેલ્લા 5 વર્ષથી PI તરીકે કોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને રહેઠાણ નોકરીના સ્થળેથી દૂર આવેલું છે, જેથી તકલીફ પડી રહી છે અને નોકરીમાં સમયસર પહોંચતા ન હોવાથી તેમની બદલી રહેઠાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરી આપવી. આ ઉપરાંત એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સ્વામીની ગાડી રોકતા તાત્કાલિક બદલી કરી છે, તો હવે ક્યાંથી પસાર થવાના તે જણાવો, તો બદલી કરાવવા LR ફરીથી ગાડી રોકી શકે...'
પીઆઇની ગેરવર્તણૂક બદલ A ડિવિઝન ACP દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલ એક ઓડિયો ક્લિપ અને પીઆઈની સ્વામી સાથે થયેલી ટેલીફોનીક વાતચીતને લઈને તપાસ શરૂ છે.