- એસેન્શિયલ ઓઇલ લાવી શકે છે જાતીય જીવનમાં સુધારો
- એસેન્શિયલ ઓઈલ્સ તણાવ અને ચિંતા ઘટાડવા મદદરૂપ છે
- એસેન્શિયલ ઓઈલ્સથી આડઅસર થાય તો ડોક્ટરની સલાહ લેવી
ન્યૂઝ ડેસ્કઃ એસેન્શિયલ અથવા તો એરોમેટિક ઓઈલ્સમાં રહેલા ઔષધીય ગુણોને કારણે તે ઘણી ખરી શારીરિક તેમ જ માનસિક સમસ્યા દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઓઈલ મૂળ જે છોડ કે ફૂલોના અર્કમાંથી નીકાળવામાં આવ્યા હોય તેના કરતાં વધુ તીવ્ર સુગંધ ધરાવતા હોય છે. આપણા શરીર માટે તે વિવિધ રીતે લાભકારક નીવડે છે. એસેન્શિયલ ઓઈલ્સ વ્યક્તિના જાતીય જીવનને વધુ સારું બનાવવામાં પણ મદદ કરે છે. સેક્સોલોજિસ્ટ્સનું માનવું છે કે, આનંદપ્રદ જાતીય સબંધ પાછળ આપણો મૂડ ઘણો મોટો ભાગ ભજવે છે. સુખદ, તણાવમુક્ત અને રોમેન્ટિક મૂડ કામેચ્છામાં વધારો કરે છે અને સ્ત્રી-પુરુષ વચ્ચેના શરીર સબંધમાં સુધારો લાવે છે. તો ચાલો, એસેન્શિયલ ઓઈલ્સ કેવી રીતે જાતીય સબંધમાં સુધારો લાવી શકે છે, તે જાણીએ.
એસેન્શિયલ ઓઈલ્સ લિબિડો (કામેચ્છા) અને સેક્સ હોર્મોન્સમાં વધારો કરે છે
નિષ્ણાતોના મતે, પુરૂષ અને મહિલાની પ્રજનન ક્ષમતા પર એસેન્શિયલ ઓઈલ્સની સકારાત્મક અસર પડે છે અને સાથે જ તે સ્ત્રી-પુરુષ બંનેની કામેચ્છા અને સેક્સ હોર્મોન્સ વધારવામાં સહાયરૂપ નીવડે છે. તણાવ એ જાતીય રોમાંચ ઘટાડવા પાછળના મુખ્ય કારણો પૈકીનું એક માનવામાં આવે છે ત્યારે એસેન્શિયલ ઓઈલ્સની માદક સુગંધ મૂડ સુધારવામાં, તણાવ અને ચિંતાઓ ઓછાં કરવામાં તથા પાર્ટનર્સને એકબીજાની વધુ નજીક લાવવામાં સહાયક પૂરવાર થાય છે.
એસેન્શિયલ ઓઈલ્સ વ્યક્તિના જાતીય આરોગ્યને સુધારવામાં ઉપયોગી
નિષ્ણાતો વધુમાં કહે છે કે, કેટલાક ખાસ પ્રકારના એસેન્શિયલ ઓઈલના મસાજ જનનાંગોના તણાવને મુક્ત કરવામાં મદદ પૂરી પાડે છે. આથી જાતીય સબંધ દરમિયાન આ ભાગોમાં વધુ રોમાંચનો અનુભવ થાય છે. આ ઉપરાંત આ ઓઈલ્સ વડે શરીરની મસાજ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણમાં વૃદ્ધિ થાય છે. વ્યક્તિના જાતીય આરોગ્યને સુધારવામાં ઉપયોગી હોય તેવાં કેટલાક એસેન્શિયલ ઓઇલ્સ નીચે પ્રમાણે છેઃ
સેન્ડલવૂડ ઓઈલ
સેન્ડલવૂડ ઓઈલ કામોદ્દીપક ગુણો ધરાવે છે, જેને કામેચ્છા જગાડવામાં તથા શરીરમાં ઊર્જાનો સંચાર કરવામાં ઉપયોગી ગણવામાં આવે છે. આ ઓઈલ પુરૂષોમાં હોર્મોન્સના અસંતુલનને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.
જેસ્મિન ઓઇલ
અન્ય કોઈ પણ એરોમેટિક (સુગંધિત) ઓઈલમાં જેસ્મિન ઓઈલનાં થોડાં ટીપાં ઉંમેરીને જનનાંગો પર તેની મસાજ કરવાથી પુરૂષના જાતીય અંગો મજબૂત થાય છે અને સાથે જ તેમની પ્રજનન શક્તિમાં પણ વૃદ્ધિ થાય છે.
કેલેન્ડ્યૂલા ઓઈલ
કેલેન્ડ્યૂલા ઓઈલ ખાસ કરીને મહિલાઓનાં આરોગ્ય માટે લાભદાયી ગણાય છે. તે એન્ટિ-ઈન્ફ્લામેટરી ગુણ ધરાવે છે, જે મહિલાઓના માસિક ચક્રનું નિયમન કરે છે અને માસિક ધર્મ દરમિયાન થતો દુખાવો ઘટાડવામાં મદદરૂપ થાય છે.
બેસિલ ઓઈલ
તુલસીનું તેલ પુરૂષોના પ્રજોત્પાદક અંગોને ઉત્તેજિત કરવામાં અસરકારક મનાય છે. તે મનને શાંત રાખે છે અને સાથે જ આ તેલની નિયમિત મસાજ કરવાથી પુરૂષોની પ્રજોત્પાદકતામાં વધારો થઇ શકે છે.
યુકેલિપ્ટસ ઓઈલ
યુકેલિપ્ટસ અથવા તો નીલગિરીનું તેલ આપણા મન અને શરીરમાંથી તણાવ દૂર કરવામાં મદદરૂપ પૂરવાર થાય છે. તે મહિલાઓમાં સર્વાઈકલ મ્યૂકસમાં વૃદ્ધિ કરે છે અને યુટરિન ફાઈબ્રોઈડ, સર્વાઈકલ અને પ્રોસ્ટેટના ઈન્ફેક્શન્સ સામે રક્ષણ પૂરું પાડે છે.
એસેન્શિયલ ઓઇલ્સનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો
કોઈ પણ એસેન્શિયલ ઓઈલનો ઉપયોગ કરતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે, જો આ ઓઈલ્સનો વપરાશ યોગ્ય રીતે ન કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. આ ઓઈલ્સનો કદી પણ ત્વચા પર સીધો ઉપયોગ ન કરવો જોઇએ. તેમાં પાણી કે ઓછી માત્રામાં કોપરેલ, તલનું તેલ, ઓલિવ ઓઈલ કે બેબી ઓઈલ ભેળવવું જોઈએ. જો આ તેલને સીધું જ ત્વચા પર લગાવવામાં આવશે તો તે ભાગમાં બળતરા થઈ શકે છે. કેટલાક કિસ્સામાં તેના કારણે ચામડી પર ખંજવાળ આવવી, ચકામા પડી જવા અને માથું દુખવું વગેરે સમસ્યાઓ સર્જાઈ શકે છે. જો બળતરા કે અન્ય કોઈ પણ આડઅસર યથાવત્ રહે તો ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. આવી સમસ્યા ધરાવનારા લોકોએ એસેન્શિયલ ઓઈલ્સનો ઉપયોગ ન કરવો જોઇએ. વળી, તેનો ઉપયોગ કરતા પહેલાં તેના પર લખેલી સૂચનાઓ કે વપરાશની પદ્ધતિને ધ્યાનપૂર્વક વાંચી જવી જોઈએ.