નવી દિલ્હીઃ કેન્દ્ર તરફથી બનાવવામાં આવેલા ત્રીજા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના પ્રદર્શનનો આજે પાંચમો દિવસ છે, ત્યારે દિલ્હીમાં ખેડૂતોના આક્રોશને ધ્યાને રાખીને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે સાંજે ખેડૂતોને પ્રદર્શન પૂર્ણ કરવા અપીલ કરી હતી.

આમ આદમી પાર્ટીના નેતા રાધવ ચઢ્ઢાએ માંગ કરી કે ખેડૂતોને દિલ્હીમાં પ્રદર્શનની પરવાનગી આપવી જોઈએ. તેમજ કહ્યું કે, ખેડૂત જ્યાં પણ વિરોધ પ્રદર્શન કરવા માંગે છે ત્યાં તેમને પરવાનગી આપવી જોઈએ. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરી કહ્યું કે, કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે કોઈ પણ શરત વગર વાતચીત કરે.

સિંધુ બૉર્ડર (દિલ્હી-હરિયાણા સરહદ ) પર ખેડૂતોનું પ્રદર્શન શરુ છે. કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો ખેડૂત સતત વિરોધ કરી રહ્યા છે.

નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત દિલ્હી યૂપી બૉર્ડર પર એકઠા થયા છે. એક પ્રદર્શનકારીએ કહ્યું કે, જ્યારે બધી જ બેઠક જંતર મંતર પર થાય છે તો ખેડૂતો જંતર-મંતર પર કેમ ન જઈ શકે. જ્યાં સુધી કોઈ નિર્ણય નહી આવે ત્યાં સુધી અમે અહી જ રહેશુ.

યૂનિયન હોમ સેક્રેટરી અજય ભલ્લાએ પંજાબના 32 ખેડૂતો યૂનિયનોને વાતચીત માટે દિલ્હીના બુરાડી બોલાવ્યા હતા. તેમણે કહ્યું કે, ખેડૂતો બુરાડી જશે આગામી 2 દિવસમાં ભારત સરકાર વિજ્ઞાન ભવનમાં ખેડૂતોના પ્રતિનિધિ મંડળ અને પ્રધાનો સાથે ચર્ચા માટે તૈયાર છે. આ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહએ શનિવારે કહ્યું કે, સરકાર વાતચીત માટે 3 ડિસેમ્બર પહેલા પણ ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.

દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શનની માંગને લઈ ખેડૂતો અડગ છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે, તેમની પાસે 4 મહિના સુધીનું રાશન છે. ખેડૂતોએ સિંધુ બૉર્ડર પરથી દુર થવાની ના પાડી છે. આ સાથે ખેડૂત સંગઠનોના નેતાઓ દેશની રાજધાની દિલ્હીમાં પ્રવેશના 5 માર્ગ બંધ કરવાની પણ ચેતાણી આપી છે.
