ગત 8 જાન્યુઆરીએ ભાજપના કદાવર નેતા જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેને હત્યા કરાઈ હતી. જેમાં પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે મનિષા ગોસ્વામી, સુરજીત ભાઉ અને નિખીલ થોરાટ ફરાર હતા. ત્યારે CIDએ રચેલી SITને મોટી સફળતા મળી છે અને ત્રણેય ફરાર પૈકી બેની યુપીથી ધરપકડ કરી છે. મનિષા ગોસ્વામી અને સુરજીતભાઉને અલ્હાબાદ કોર્ટમાં રજૂ કરાશે બાદમાં એસઆઈટી બંનેને ગુજરાત લાવશે.કેસના મુખ્ય આરોપી છબીલ પટેલની કરેલી પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે, મૃતક જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે રાજકીય સ્પર્ધાના કારણે મનદુખ હતું બીજી બાજુ છબીલ પટેલના સાથી જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરાએ કે.ડી.સી.સી. બેંકમાં કરેલા આર્થિક વ્યવહારો બાબતે ચાલતી તપાસ પરનો સ્ટે ભાનુશાળીએ ઉઠાવવાનો પ્રયાસ કરતા મામલો વધુ બિચક્યો હતો. અને જયંતિ ડુમરા તથા છબીલ પટેલે હત્યાનું કાવતરૂ ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.8 જાન્યુઆરીએ જયંતિ ભાનુશાળીની હત્યા કરી હતી.
ભાનુશાળીએ સમાધાન કર્યા બાદ છબીલ પટેલે સામે ફરિયાદ દાખલ કરાવી અને જયંતિ ઠક્કર ઉર્ફે ડુમરાના આર્થિક વ્યવહારોની તપાસ પરનો સ્ટે ઉઠે તે માટે પ્રયાસો કરતા ડુમરાએ છબીલ પટેલે સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.ત્યારબાદ તેમણે સુરજીત ભાઉ અને અન્યોને હત્યાની સોપારી આપી એડવાન્સ પેટે રૂપિયા 5 લાખ પણ ચૂકવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, જયંતિ ડુમરા છબીલ પટેલનો ભાગીદાર હોવાનું કહેવાય છે. ભાનુશાળીની હત્યા માટે ભાડુતી હત્યારાઓને ચૂકવાયેલી રકમમાં રૂપિયા 5 લાખનો હિસ્સો જયંતિ ડુમરાએ આપ્યો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
હત્યા કેસનો ઘટનાક્રમ
મહત્વનું છે કે, કચ્છના પૂર્વ MLA જયંતી ભાનુશાળી હત્યાકાંડ કેસમાં આરોપી અને ભાજપના નેતા છબિલ પટેલનું નામ સામે આવ્યું હતું. જંયતી ભાનુશાળીની હત્યાના થોડાક દિવસ પહેલાં વિદેશ ગયેલા છબિલ પટેલ અમદાવાદ એરપોર્ટ પહોંચતા CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. CID ક્રાઈમે અગાઉ આ કેસમાં હત્યામાં સંડોવાયેલા બે શાર્પ શૂટર, છબિલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ સહિત 5 લોકોની ધરપકડ કરી હતી. જો કે, મનિષા ગોસ્વામી નામની મહિલા કે જે આ કેસમાં મુખ્ય આરોપી છે. તે પોલીસની પહોંચથી બહાર હતી.
આ કેસની તપાસ દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે, 7મી જાન્યુઆરીના રોજ સયાજીનગર એક્સપ્રેસ ટ્રેનના ફસ્ટ AC કોચમાં ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર હત્યાકાંડમાં મનિષા ગોસ્વામી અને પૂર્વ MLA છબિલ પટેલ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યાં હતાં. છબિલ પટેલ અને જયંતી ભાનુશાળી કચ્છની અબડાસા બેઠકથી ધારાસભ્ય રહ્યાં હતાં. જ્યારે મનિષા નામની મહિલા આરોપીને ભાનુશાળીના ભાણેજ સાથે દુશ્મનાવટ હતી. જયંતી ભાનુશાળી સાથે તેમના ભાણેજ પણ સયાજીનગર ટ્રેનમાં ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા.
મહત્વનું છે કે, જયંતી ભાનુશાળી ટ્રેનમાં ભુજથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા ઈસમો દ્વારા તેમની પર ફાયરીંગ કરી તેમની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાથી રાજ્યમાં રાજકારણ પણ ગરમાયું હતું. ત્યારે આ મામલે તપાસ કરવા SITની રચના કરવામાં આવી હતી. SITની ટીમે તપાસ દરમિયાન ભાનુશાળી પર ફાયરીંગ કરી તેમની હત્યા કરનારા શાર્પશૂટરને ઝડપી પડ્યા હતા, જેમાં હત્યા કરાવનારા ઈસમોમાં છબીલ પટેલનું પણ નામ સામે આવ્યું હતું. બીજી તરફ છબીલ પટેલ વિદેશ ભાગી ગયો હતો અને એક વીડિયો વાયરલ કરી જણાવ્યું હતું કે, તેઓ નિર્દોષ છે તેની પર લાગેલા આક્ષેપો પણ તેણે ફગાવ્યા હતા, પરંતુ પોલીસને તમામ પુરાવા છબીલ પટેલની વિરુદ્ધમાં મળ્યા હતા. જેથી છબીલ પટેલને વિદેશથી અમદાવાદ પરત ફરવું પડ્યું હતું અને શરણાગતિ સ્વીકારવી પડી હતી.
SITની ટીમે છબીલ પટેલની પૂછપરછ કરી હતી. આ પુછપરછમાં અન્ય મનિષા ગોસ્વામી અને સુજીત ભાઉના નામ સામે આવ્યાં હતાં. આ હત્યા કેસમાં CID ક્રાઇમ અને રેલવે પોલીસ દ્વારા તપાસ કરી હત્યાની કડી જોડી હતી. સમગ્ર ઘટનામાં ATSએ પ્રોફેશનલ ગેંગના વ્યક્તિ રાજુ ધોત્રેની પણ ધરપકડ કરી હતી. જયંતી ભાનુશાળી હત્યા કેસમાં પોલીસે કુલ 7 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આજે ઉત્તર પ્રદેશ SITએ પ્રયાગરાજ (અલ્હાબાદ)થી મનિષા ગોસ્વામી અને સુજીત ભાઉની ધરપકડ કરી લીધી છે.