નવી દિલ્હીઃ એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ સ્પેશિયલ સેલની અરજી પર સુનાવણી કરતા તેને ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસા મામલે ચાર્જશીટ ફાઇલ કરવા બે મહિનાનો સમય આપ્યો છે.
સ્પેશિયલ સેલે આ કેસમાં UAPA હેઠળ અનેક લોકો વિરુદ્ધ FIR દાખલ કરી છે. જેમાં ઇશરત જહાં, ખાલિદ સૈફી, સફૂરા ઝરગર, ગુલ્ફિસા ફાતિમા, નતાશા નરવાલ, દેવાંગન કલિતા અને તાહિર હુસૈનના નામ સામેલ છે.
આ તમામ આરોપીઓ હાલ જેલમાં છે. FIRમાં JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદનું નામ પણ સામેલ છે પરંતુ તેની ધરપકડ નથી થઈ.
સ્પેશિયલ સેલ મુજબ આ તમામ આરોપીઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ભારત આગમન પહેલા રમખાણોનું કાવતરુ રચ્યું હતું.
સ્પેશિયલ સેલે ચાર્જશીટ ફાઇલ કરવા 17 સપ્ટેમ્બર સુધીનો સમય માંગ્યો છે. કોર્ટને જણાવવામાં આવ્યું છે કે, લોકડાઉનને કારણે કેસની તપાસ પૂરી થઈ શકી નથી.
આરોપીઓ તરફના વકીલે આ વાતનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, તમામને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ પાસે કોઈ સાક્ષી ન હોવાથી ચાર્જશીટ માટે વધુ સમય આપવાની માંગણી કરી રહ્યા છે.
સામાન્યપણે 90 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવતી હોય છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે અત્યાર સુધીમાં 100 FIR દાખલ કરી દેવામાં આવી છે.