આરસીઇપી એ વિશ્વના સૌથી મોટા મુક્ત વેપાર કરાર તરીકે 16 દેશોનું જૂથ છે. જેમાં દસ એશિયાન દેશોનો સમાવેશ થાય છે. આરસીઇપીમાં બ્રુનેઇ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, વિયેટનામ, ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે.
આરસીઇપી માટે વાટાઘાટો એક દાયકા પહેલા શરૂ થઈ હતી, પણ ઘણાં દેશોમાં ખેડૂત સંગઠનો દ્વારા ઉભી થયેલી ચિંતાઓને કારણે તે ગોકળગાયની ગતિ પર હતી.
નિષ્ણાંતોના મતે આરસીઇપીને લીધે ભારતમાં ડેરી ઉદ્યોગ પર મોટી અસર જોવા મળશે. તેમની દલીલ છે કે ન્યૂઝીલેન્ડમાં ઉપલબ્ધ સસ્તી દૂધની બનાવટોથી ભારતીય ડેરી ઉત્પાદનોની માંગમાં ઘટાડો થશે.
તે જ રીતે, મસાલા અને રબર ઉદ્યોગ માટે જાણીતા કેરળને મલેશિયા અને વિયેતનામથી સસ્તી આયાતથી ભારે અસર થશે.
તેલીબિયાં અને તેના ઉત્પાદનો પર આરસીઇપી ડીલની નોંધપાત્ર અસર પડશે. ભારતે 2017-18માં 46,000 કરોડ રૂપિયાની પામ ઓઇલની આયાત કરી છે. જો નવા સોદા હેઠળ આયાત ડ્યુટી ઓછી કરવામાં આવે તો ભારતીય બજારો મલેશિયા અને ઇન્ડોનેશિયાથી સસ્તી આયાતથી ભરવામાં આવશે.
દેશમાં વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા ઉભા કરવામાં આવેલી ચિંતાઓને માન્યતા આપતા સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં આરસીઈપી પર હજી પણ કેટલાક વણઉકેલાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ બાકી છે અને હાલની વડાપ્રધાનની થાઇલેન્ડ મુલાકાત તે મુદ્દાઓ પર થોડી સ્પષ્ટતા આપશે.