નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હી હિંસાની સુનાવણી કરી રહેલાં દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મુરલીધરની બદલી કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ મુરલીધરની પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જજ તરીકે બદલી કરવામાં આવી છે. જસ્ટિસ મુરલીધરની બદલી માટે સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ગત 12 ફેબ્રુઆરીએ ભલામણ કરી હતી.
જસ્ટિસ મુરલીધરની બદલીના વિરોધમાં દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશને ગત 20 ફેબ્રુઆરીના રોજ ન્યાયિક કાર્યનો બહિષ્કાર કર્યો હતો. જસ્ટિસ મુરલીધર દિલ્હી હિંસા કેસની સુનાવણી કરી રહ્યાં હતા. જસ્ટિસ મુરલીધરે 26 ફેબ્રુઆરીએ દિલ્હી હિંસા કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, 'અમે દિલ્હીમાં 1984નાં રમખાણોની પરિસ્થિતિ ફરી વખત ઉભી થવા નહીં દઈએ'.
હવે ચીફ જસ્ટિસ કરી શકે છે સુનાવણી
જસ્ટિસ મુરલીધરની બદલી થયા બાદ હવે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એન. પટેલ દિલ્હી હિંસા મામલે સુનાવણી કરે તેવી શક્યતા છે. આ મામલે આજે સુનાવણી થઈ શકે છે. જસ્ટિસ મુરલીધરે ગત 25 ફેબ્રુઆરીના રોજ દિલ્હી પોલીસને સ્થિતિ પર કાબૂ નહીં મેળવવા માટે ફટકાર લગાવી હતી.