છત્તીસગઢ: કાંકેર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ફરજ બજાવતા BSFના 157 બટાલિયનના જવાને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.
મૂળ હરિયાણાના વતની સુરેશ કુમાર તેની સર્ચ પાર્ટી સાથે પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે પોતાના કેમ્પથી 100 મીટર પહેલા જ પોતાની સર્વિસ રાઈફલમાંથી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. ગોળીનો અવાજ સાંભળી સુરેશ કુમારના સાથી જવાનો તેને સારવાર માટે કેમ્પ લઈ આવ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલાં જ BSF જવાનનું મોત થયું હતું.
ઘટનાની માહિતી મળતાં જ BSF અને પોલીસના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે, બાદમાં તેને અંતિમ સંસ્કાર માટે તેના વતન મોકલી આપવામાં આવશે. જવાને આત્મહત્યા કેમ કરી તે અંગેનું કારણ જાણી શકાયું નથી.