અમદાવાદ: પોલેન્ડમાં દર વર્ષે ચિલ્ડ્રન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં દરેક દેશને પાંચ વર્ષે એક વખત તેમાં ભાગ લઈ શકે છે. આ વખતે ભારત તરફથી ગુજરાત જ નહીં માત્ર અમદાવાદની જ 15 જેટલી બાળકોએ પસંદગી થઈ હતી. ત્યાં જઈને પણ ગુજરાતીનો ડંકો વગાડ્યો છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત કહી શકાય.
" ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફેસ્ટિવલ 2023 પોલેન્ડમાં દર વર્ષની જેમ યોજાયો હતો. આપ ફેસ્ટિવલ સાથે યુનેસ્કો પણ જોડાયેલું છે. આ ફેસ્ટિવલમાં 7 થી 14 વર્ષના બાળકો જ ભાગ લઈ શકે છે. જેમાં આ વર્ષે ભારત તરફથી અમદાવાદના જ 10 થી 14 વર્ષના 15 બાળકોએ ભાગ લીધો હતો. ભારત તરફથી માત્ર અમદાવાદના જ બાળકો પસંદ થવા તે ખરેખર ગૌરવની વાત છે." - તીર્થરાજ ત્રિવેદી, માલિક, ડાનામાઈટ એકડમી
પહેરવેશમાં વિશ્વમાં પ્રથમ: અમદાવાદના 15 જેટલા બાળકોએ આ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. બાળકો આ ફેસ્ટિવલ પહેલા છેલ્લા 6 મહિનાથી રોજની 3 કલાક મહેનત કરતા હતા. આ ફેસ્ટિવલમાં અમદાવાદના બાળકોએ છત્રી, દાંડિયા, લાકડી, તેમજ ભરત ગુંથણ વાળા પહેરવેશ પહેરીને કૃષ્ણ અને અંબાજી માતાના ગરબા ગયા હતા. આ બાળકોના પ્રદર્શનને જોઈને ત્યાં આવેલા તમામ લોકોનું પ્રદર્શન જોઈને આનંદિત થઈ ગયા હતા. જેમાં ઇનામ આપવા માટે એક અલગ સ્પેશિયલ પ્રકારે જજની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે બાળકોના પહેરવેશ પર પ્રથમ નંબર તેમના વર્તન પર પ્રથમ નંબર અને ડાન્સમાં બીજો નંબર આપ્યો હતો.
દરેક દેશને પાંચ વર્ષે આમંત્રણ: ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફેસ્ટિવલ સાથે વિશ્વના 96 દેશો રજીસ્ટર છે. જેમાંથી દરેક દેશને પાંચ વર્ષે એક વખત બોલાવવામાં આવે છે. દર વર્ષે યોજાતા આ ચિલ્ડ્રન ફેસ્ટિવલમાં 12થી 15 દેશને આમંત્રણ આપવામાં આવતું હોય છે. આ વર્ષે ભારતને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાંથી અમદાવાદની ડાનામાઈટ એકેડમીની પસંદગી થઈ હતી. જેણે ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારતને હવે 2028માં ફરી એકવાર ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફેસ્ટિવલમાં ભાગ લઈ શકશે.
" અમને પોલેન્ડનો અનુભવ ખૂબ ખૂબ જ શાનદાર રહ્યો છે. ભારતની સંસ્કૃતિ ત્યાં રજૂ કરવી એ અમારા માટે ગૌરવની વાત છે. ત્યાં અમે પ્રથમ ભગવાન કૃષ્ણની થીમ પર 12 મિનિટનું પરફોર્મન્સ આપ્યું હતું. અમારા પહેરવેશને જોઈને ત્યાંના સ્થાનિક લોકો અમારી સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરી રહ્યા હતા. જે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે." - સુહાની કૌર, સ્પર્ધક