કચ્છ: ધાર્મિક દૃષ્ટિએ અષાઢ અને શ્રાવણ માસ અનેરું મહત્વ ધરાવે છે. તેમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરવામાં આવે તો સ્વામિનારાયણ મંદિરોમાં ભગવાનને ઝૂલામાં બેસાડી સંતો મહંતો દ્વારા દર વર્ષે ભગવાનને ઝૂલે ઝુલાવી હિંડોળા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ભુજ પ્રસાદી મંદિર દ્વારા ભારતની પ્રાચીન વૈદિક ગુરુકુળની પરંપરા અંગેની એક પ્રદર્શની ઊભી કરવામાં આવી છે. જેમાં પ્રાચીન સમયમાં વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં જઈ વેદાધ્યયન સાથે જીવન ઉપયોગી બધી જ બાબતોનું પ્રશિક્ષણ મેળવતો તેનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
![ભુજના પ્રસાદી મંદિરે હિંડોળા સાથે વૈદિક ગુરુકુલમ પ્રદર્શનનું આયોજન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-07-2024/gj-kutch-02-vaidik-gurukulam-video-story-7209751_29072024111830_2907f_1722232110_633.jpg)
વૈદિક ગુરુકુલમ પ્રદર્શની: પ્રાચીન ભારતમાં ગુરુકુળનું વિશેષ મહત્વ હતું અને વિદ્યાર્થી પોતાના ગુરુના આશ્રમમાં જઈને યોગ, શારીરિક વ્યાયામ, ગાયની સેવા, આશ્રમની સફાઈ, રમતગમત, સંગીત, નૃત્ય, યજ્ઞ માટે સામગ્રી વગેરે લાવવા જેવી દરેક બાબતોને અહીં પ્રદર્શનમાં ચિત્ર સાથે દર્શાવવામાં આવી છે. માધાપરના નરનારાયણદેવ યુવક મંડળ દ્વારા છેલ્લા 20 દિવસથી મહેનત કરીને આ વૈદિક ગુરુકુલમ પ્રદર્શની તૈયાર કરવામાં આવી છે.
![પ્રાચીન ભારતમાં ગુરુકુળનું વિશેષ મહત્વ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-07-2024/gj-kutch-02-vaidik-gurukulam-video-story-7209751_29072024111830_2907f_1722232110_960.jpg)
બાળકને વૈદિક- વિદ્યાની પ્રાપ્તિ થાય: ગુરુકુળ એટલે એવી જગ્યા જ્યાં બાળકને વૈદિક- વિદ્યાની પ્રાપ્તિ થાય. ગુરુકુળ એક એવી જગ્યા છે જ્યાં બાળકોને ધર્મ અને અધ્યાત્મના જ્ઞાન દ્વારા જીવનને ઊર્ધ્વગામી બનાવવાનું શિક્ષણ પ્રાપ્ત થાય. કેવળ પૈસા કમાવવા- એ જીવનનો હેતુ નથી. ઘરથી દૂર આશ્રમમાં રહી ગુરુના સાંનિધ્યમાં વિદ્યા ઉપાસના કરતો બાળક જ સદ્વિદ્યા દ્વારા મુક્તિ પ્રાપ્ત કરી જીવનને સફળ બનાવે છે. તેવા ઉદ્દેશ્ય અને પ્રાચીન સમયમાં ગુરુકુળની પ્રવુતિઓ અંગેની સમજ આ વૈદિક ગુરુકુલમ પ્રદર્શની ઊભી કરીને દર્શાવવામાં આવી છે.
![પ્રાચીન ભારતમાં ગુરુકુળનું વિશેષ મહત્વ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-07-2024/gj-kutch-02-vaidik-gurukulam-video-story-7209751_29072024111830_2907f_1722232110_986.jpg)
1 મહિના સુધી પ્રદર્શની નિહાળી શકાશે: વૈદિક ગુરુકુલમમાં યજ્ઞશાળા, નૃત્યશાલા, સંગીતશાલા, રમતથી જીવન વિકાસ, યોગશાળા, આર્યુવેદ, ખગોળશાસ્ત્ર, પ્રાકૃતિક સ્નાન, કૃષિ જીવન,ઋષિ જીવન, ગૌસેવા જેવા વિષયો સબંધિત પ્રદર્શની દર્શાવવામાં આવી છે. કચ્છના ભક્તજનો પ્રસાદી મંદિર ખાતે 1 મહિના સુધી આ વૈદિક ગુરુકુળમની પ્રદર્શની નિહાળી શકશે.
પ્રાચીન કાળની ગુરુકુળ પદ્ધતિનું દૃશ્ય: ભુજ પ્રસાદી મંદિરના રામપ્રિય સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રસાદી મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજને 15 વર્ષ પૂર્ણ થશે. જેથી પંચ દશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. જેના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ તરીકે ભવ્ય પ્રદર્શની તૈયાર કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં પ્રાચીન કાળની અંદર બાળકો ગુરુકુળની અંદર જઈને અભ્યાસ કરતા તે પદ્ધતિનું દૃશ્ય ઊભું કરવામાં આવ્યું છે. જે બાળક પ્રાચીન સમયમાં ગુરુકુળમાં અભ્યાસ કરતો તે બાળકને પૂરેપૂરો જ્ઞાનની સાથે, હિન્દુ સનાતન શાસ્ત્રોનું જ્ઞાન હોય છે, હિન્દુ સનાતન પરંપરાનો પણ જ્ઞાન હોય છે.