વલસાડ: ધરમપુર તાલુકાના આંબા ટલાત ઘસાર પાડામાં ઘરના ઓટલે સુતેલી મહિલાને દીપડાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. મહિલાની લાશ ઘરથી 200 મીટર દૂર ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ઘટના અંગે પોલીસ અને જંગલ વિભાગને જાણ કરવામાં આવી હતી.
શું હતી સંપૂર્ણ ઘટના? ધરમપુર તાલુકાના આંબા તલાટ ગામના ઘસારપાડા વિસ્તારમાં એક કરૂણાતિક ઘટના બની છે, જ્યાં એક વૃદ્ધ મહિલા સોનાઈબેન ચૌધરી ઉપર દીપડાએ હુમલો કર્યો અને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સોનાઈબેન પોતાના ઘરના ઓટલે સુતેલા હતા, ત્યારે વહેલી પરોઢિયે દીપડાએ અચાનક હુમલો કરી તેમને જંગલ તરફ ખેંચી ગયો હતો. વહેલી સવારે પરિવારજનોને સોનાઈબેન ન દેખાતા પોટલા ઉપરથી ગાયબ થયેલી મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ સોનાઈબેન ન મળતા પરિવારજનોએ ગ્રામજનોને ઘટના અંગે વાત કરી હતી. ગામના અગ્રણીઓ દ્વારા આસપાસના વિસ્તારમાં સોનાઈબેનની શોધખોળ કરતા વૃદ્ધાનો મૃતદેહ જંગલમાંથી ક્ષત-વિક્ષત હાલતમાં મળી આવ્યો હતો.
ઘરથી દુર લાશ મળી આવી: તપાસ અને શોધખોળ દરમિયાન સોનાઈબેનની લાશ તેમના ઘરના આશરે 120 મીટર દૂર જંગલમાંથી મળી આવી હતી. દીપડાના હુમલાના કારણે સોનાઈબેનનો શરીરનો ભાગ માથાથી અલગ થઈ ગયો હતો. આ ઘટના સાંભળતા જ આખા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
![ક્ષત-વિક્ષત હાલતમાં મળી મહિલાની લાશ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-11-2024/gj-vld-01-aleoparddraggedawomanwhowassleepinginthehouse-avbb-gj10047_03112024131705_0311f_1730620025_575.png)
પોલીસ અને જંગલ વિભાગની ટીમ સ્થળ ઉપર: પરિવારજનો અને ગામલોકો દ્વારા આ સમગ્ર ઘટના વિશે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી વનવિભાગના અધિકારી હિરેન પટેલ તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ વિભાગ પણ સ્થળ પર પહોંચી હતી અને સોનાઈબેનની લાશને કબજે લઈ આગળની તપાસ અર્થે પીએમ માટે મોકલવામાં આવી છે.
![ઘર આંગણે સુતેલી વૃદ્ધાને દીપડો ખેંચી ગયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-11-2024/gj-vld-01-aleoparddraggedawomanwhowassleepinginthehouse-avbb-gj10047_03112024131705_0311f_1730620025_131.png)
દીપડાને પકડવા જંગલ વિભાગે કમર કસી: આ ઘટના બાદ વનવિભાગે દીપડાને પકડવા માટે તાત્કાલિક પગલા શરૂ કરી દીધા છે. આદમ ખોર દીપડાના પગલે ગામલોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. વનવિભાગ દ્વારા દીપડાની હાજરી માટે ચુસ્ત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આમ, ધરમપુરના અંતરિયાળ ગામોમાં અગાઉ પણ પશુ મારણની ઘટના સામે આવી હતી, જ્યારે માનવ મરણની આ પ્રથમ ઘટના સામે આવી છે ત્યારે જંગલ વિભાગ દોડતું થયું છે.
આ પણ વાંચો: