ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર સ્થિત કન્વેન્શનલ સેન્ટર ખાતે ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ પરમેનન્ટ વે એન્જિનિયર્સ આઇપીડબ્લ્યુઇ-ગાંધીનગર 2024નો બે દિવસીય સેમિનાર શરૂ થયો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ આઇપીડબ્લ્યુઇના સંરક્ષક તથા રેલવે બોર્ડના સભ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અનિલ કુમાર ખંડેલવાલ હતા.
આ પ્રસંગે કાર્યક્રમનું આયોજન કરી રહેલા પશ્ચિમ રેલવેના પ્રિન્સિપલ ચીફ એન્જિનિયર અમિત ગુપ્તાએ તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ આઇપીડબ્લ્યુઇનો 30 મો સેમિનાર છે જેનું આયોજન ગુજરાતના ગાંધીનગરમાં થઈ રહ્યું છે, તે પશ્ચિમ રેલવેનું સૌભાગ્ય છે કે, અમને આ ગૌરવપૂર્ણ આંતરરાષ્ટ્રીય આયોજનનું હોસ્ટિંગ કરવાની તક મળી રહી છે. આ સેમિનાર સિવિલ એન્જિનિયરિંગના ક્ષેત્રે વિવિધ સ્તરે વિચારોનું આદાન-પ્રદાન કરવા અને જ્ઞાન અને અનુભવોનું આદાન-પ્રદાન કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ છે. રેલવે ટ્રેક એન્જિનિયરિંગના ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને આધુનિકીકરણના યુગમાં, જેમાં બ્રિજ એન્જિનિયરિંગ, રેલ્વે ટ્રેક એન્જિનિયરિંગ સહિતના પ્રોજેક્ટ પ્લાનીંગમાં તેને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા છે. આ સેમિનારમાં, રેલવે એન્જિનિયરો દ્વારા તેમના ક્ષેત્રમાં સામનો કરી રહેલા તમામ સંબંધિત સમસ્યાઓ અને પડકારોની વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા આપેલા તેમના શુભેચ્છા સંદેશમાં આ સેમીનારની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, ભારતીય રેલવેના એન્જિનિયર્સ વિશ્વના શ્રેષ્ઠ એન્જિનિયર્સ પૈકી એક છે અને જ્યારે પણ દેશમાં સૌથી જટિલ પ્રોજેક્ટ હોય ત્યારે રેલવેની વાત આવે છે. રેલવે ગરીબ અને મધ્યમ વર્ગની સાથે સાથે જનજનની સવારી છે. આવી સ્થિતિમાં આપણે કઈ રીતે નવી ટેકનોલોજી અને નવી સુવિધાઓ લાવીએ છીએ અને ટ્રેક સંબંધિત જે નવીનતાઓ કરવાની છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મુખ્ય અતિથિ તરીકેના તેમના સંબોધનમાં, રેલ્વે બોર્ડના સભ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અનિલ કુમાર ખંડેલવાલે જણાવ્યું હતું કે, ભારતીય રેલ્વે ઝડપી વિકાસ તરફ આગળ વધી રહી છે. જેમાં આધુનિક ટ્રેક સ્ટ્રક્ચર, આરઓબી અને આરયુબીનું ઝડપી નિર્માણ અને નવા રેલ્વે કોરિડોરના આયોજનમાં તેમને નક્કર આકાર આપવા અમારી પ્રાથમિકતા છે. ભારતીય રેલ્વેએ વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાંનું એક છે. જ્યાં દરરોજ 2 કરોડ મુસાફરો અને 50 લાખ ટન કાર્ગોનું પરિવહન થાય છે અને 8,000 રેલવે સ્ટેશન્સને જોડતી દરરોજ 20,000 ટ્રેન દોડે છે. તે માત્ર દેશની જીવાદોરી નથી પરંતુ દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ પણ છે. ભારતીય રેલ્વે 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે, જેમાં નેટવર્કનું વિસ્તરણ અને 2030 સુધીમાં 3000 મિલિયન ટન માલનું પરિવહન કરવાનો લક્ષ્યાંક છે. તેમણે કહ્યું કે, સલામતી હંમેશા આપણી પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ અને આપણે હંમેશા સેફ્ટી ફર્સ્ટ ઓલવેઝ ફર્સ્ટના સૂત્રને ધ્યાનમાં રાખવું જોઈએ.
આ વર્ષના સેમિનાર માટે પસંદ કરાયેલા વિષયોમાં આરઓબી અને આરયુબીનું ઝડપી બાંધકામ સામેલ છે જેથી લેવલ ક્રોસિંગ દૂર કરી શકાય. ફાસ્ટ ટ્રેક ડિલિવરી ઓફ પ્રોજેક્ટ્સના વિષય પર સફળ કેસ સ્ટડીની ચર્ચા કરવા જેવા મહત્વના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ એલિવેટેડ કોરિડોર (એલિવેટેડ સ્ટેશન સહિત)ના પ્રોજેક્ટ્સને સાકાર કરવો જેમાં 250 કિમી પ્રતિ કલાકની ઝડપની શક્યતા હોય. આ તમામ મુદ્દાઓ વર્તમાન સમયમાં સમકાલીન અને મહત્વપૂર્ણ છે જેના પર ટેકનિકલ ચર્ચાઓ આ સેમિનાર દરમિયાન કરવામાં આવશે. આ સેમિનાર રોજિંદા કામ દરમિયાન આવતી ટેકનિકલ સમસ્યાઓ અને પાસાઓને સમજવામાં તેમજ વધુ સારી વ્યૂહરચના બનાવવા અને તેનો અમલ કરવામાં મદદ કરશે.
આ સેમિનારમાં આઇપીડબ્લ્યુઇના પ્રમુખ અને રેલવે બોર્ડમાં અધિક સભ્ય સિવિલ એન્જિનિયરિંગ, બ્રિજેશ ગુપ્તા, ઈરીસેન પુણેના ડાઈરેકટર જનરલ એસ.કે.ઝા, ઉપપ્રમુખ અને રેલવે બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બ્રિજ, રવિન્દ્ર ગોયલ, જનરલ સેક્રેટરી. અને પ્રિન્સિપલ ચીફ એન્જિનિયર, ઉત્તર રેલવે બી.પી. સિંહ અને સંસ્થાના અન્ય અધિકારીઓ, ડીઆરએમ અમદાવાદ ડિવિઝન સુધીર કુમાર શર્મા અને દેશભરમાંથી વિવિધ રેલવેના વરિષ્ઠ રેલવે એન્જિનિયર્સે ભાગ લીધો હતો.