જૂનાગઢ: જિલ્લામાં 4 દિવસીય હોર્ટીકલ્ચર પાકોને લઈને પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશમાંથી આવેલા સંશોધનકારો, વૈજ્ઞાનિકો, અધ્યાપકો અને કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ દ્વારા ખેતી પાકો અને ફળફળાદી પાકોને લઈને 4 દિવસ સુધી વિચારણા કરાશે ત્યારે જૂનાગઢ આવેલા કૃષિ વૈજ્ઞાનિકો અને સંશોધનકારોએ યુવાનો ખેતી અને ખેતર તરફ વળે તે આજના આધુનિક સમયની એકમાત્ર જરૂરિયાત હોવાની વાત પર વિશેષ ભાર મૂક્યો છે.
યુવાનો ખેતી અને ખેતર તરફ પરત વળે: ચાર દિવસીય પરિસંવાદમાં વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ સાથે ભારત ખેતીવાડીના ક્ષેત્રમાં કદમ મિલાવી શકે તે માટે વિશેષ ચર્ચા અને ચિંતનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં "આજનો યુવાન ખેતી અને ખેતર તરફ પરત વળે" તે બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. આજના દિવસે ખેતર અને ખેડૂત ઘટી રહ્યા છે આવી પરિસ્થિતિમાં નવી પેઢીનો યુવાન ખેતીને અપનાવીને ખેતર તરફ જતો થાય તે દિશામાં કામ કરવાની તાતી જરૂરિયાત આજના દિવસે ઊભી થઈ છે. યુવાનો ખેતી સાથે સંકળાય તો ખેતરો ફરી એક વખત સોના સમા સાબિત થશે જેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ આ યુવાન ખેડુત કરશે. જેથી ભારતના કૃષિ ઉત્પાદનો વિશ્વના કૃષિ ઉત્પાદનો સાથે કદમ મેળવતા થશે.
ફળફળાદી પાકમાં ઉત્પાદન વધ્યું: આધુનિક સમયમાં એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર વિશ્વમાં ફળફળાદી પાકોમાં ઉત્પાદન વધી રહ્યું છે, ત્યારે ભારતમાં પણ જો આ જ પ્રકારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુવાન ખેતી તરફ આગળ વધે તો ફળ પાકોમાં ભારત સમગ્ર વિશ્વને પાછળ રાખી શકે તેમ છે. ફળફળાદી પાકોમાં પાછલા વર્ષો દરમિયાન 25 મિલિયન ટનનું ઉત્પાદન ભારતમાં થતું હતું જેમાં હવે ખૂબ મોટો વધારો થઈને 256 મિલિયન ટન જેટલું ઉત્પાદન થઈ રહ્યું છે. જે ફળફળાદી પાકના વિકાસમાં 04 ટકા જેટલું માનવામાં આવે છે. ફળફળાદી પાકો ભારતની કુલ જીડીપીના 30 ટકા જેટલો હિસ્સો પણ ખેતીવાડી પાકો ધરાવે છે જેમાં મુખ્યત્વે ફળફળાદી પાકોનો સિંહ ફાળો હોય છે.
ખેતીવાડી પાકોને ઉદ્યોગનું રૂપ આપી શકાય: આજના પરિસંવાદમાં ખેતીવાડી પાકોને ઉદ્યોગનું સ્વરૂપ આપી શકાય તે માટે ગંભીર મનોમંથન થયું હતું. આજના સમયમાં કૃષિ પાકો પૈકી ફળફળાદી પાકો માટે 10 થી 10 ટકા ખેતીની અલગ અનામત રૂપી જોગવાઈ થવી જોઈએ તેની સાથે એક અંદાજ મુજબ ફળફળાદી પાકોનો ગ્રોથ રેટની વાત કરીએ તો ફળફળાદી પાકો 04 ટકા, ફીશરીઝ 08 ટકા, એનિમલ હસબંડરી એટલે કે પશુપાલન 07 ટકાના દરે ગ્રોથ કરી રહ્યો છે. ત્યારે ભવિષ્યની ખેતી પણ હવે ડિજિટલ તરફ વિશ્વમાં આગળ વધી રહી છે જે યુવાનોને ખૂબ જ પસંદ આવી રહી છે આવી પરિસ્થિતિમાં ભારતનો યુવાન ડિજિટલ ખેતી થકી પણ ભારતના કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થવાની સાથે કૃષિ લક્ષી આર્થિક હુડિયામણમાં ખૂબ મોટો વધારો કરી શકવા માટે સક્ષમ છે. પરંતુ તેને આધુનિક ટેકનોલોજી સમજાવીને ખેતી તરફ કેમ વાળી શકાય તે વિષય પર જૂનાગઢમાં આયોજિત રાષ્ટ્રીય પરીસંવાદમાં મનોમંથન કરવામાં આવશે.