વાપી: વલસાડ જિલ્લા પોલીસે વલસાડ જિલ્લાના 10 પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ મોબાઈલ ચોરીની કે ખોવાયાની ફરિયાદ બાદ તે પૈકીના 65 મોબાઈલ રિકવર કરી તેના મૂળ માલિકને પરત કર્યા હતાં.

તેરા તુજકો અર્પણ: ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અને DGP વિકાસ સહાયની સૂચનાથી પોલીસ દ્વારા દરેક જિલ્લામાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. જેમાં જે લોકોના મોબાઈલ કે અન્ય ચીજ વસ્તુઓ ચોરાય છે તે શોધી તેના મૂળ માલિકને પરત કરવામાં પોલીસ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

મોબાઇલ તેમના મૂળ માલિકને પરત: આવા જ એક કાર્યક્રમનું વલસાડ એસપી અને ડીવાયએસપી દ્વારા વાપી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં SOG એ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ચોરાયેલા 65 જેટલાં મોબાઇલને શોધી કાઢી તે તમામ મોબાઇલ તેમના મૂળ માલિકને પરત કર્યા હતા. આ 65 મોબાઈલની કુલ કિંમત 10 લાખ હોવાથી વલસાડ જિલ્લાના પોલીસ વડા કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું.

કુલ 65 મોબાઈલની ફરિયાદ: જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, છ થી આઠ મહિનામાં જિલ્લાના 10 પોલીસ મથકોમાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ આધારે પોલીસે મોબાઈલ રિકવર કરી તેમના મૂળ માલિકને પરત કર્યા છે. જેમાં વાપી ટાઉન પોલીસ મથકના 15, ભીલાડ પોલીસ મથકમાં 7, વલસાડ સીટી પોલીસ મથકમાં 3, ડુંગરી પોલીસ મથકના 1, ધરમપુર પોલીસ મથકના 2, વાપી જીઆઇડીસી પોલીસ મથકના 19, વલસાડ રૂરલ પોલીસ મથકના 6, પારડી પોલીસ મથકના 3, ડુંગરા પોલીસ મથકના 6 અને ઉમરગામ પોલીસ મથકના 3 મોબાઈલ મળી કુલ 65 મોબાઈલની ફરિયાદનો સમાવેશ થાય છે.

મોબાઈલ ટ્રેક કરી ટીમ મોકલી મોબાઇલ રિકવર કર્યા: જિલ્લા પોલીસવડાના જણાવ્યા મુજબ ઘણા બધા મોબાઇલ રાજ્યની બહાર પણ લઈ જવામાં આવ્યા હતા. જેને ટ્રેક કરી ટીમ મોકલી મોબાઇલ રિકવર કરવામાં આવ્યા છે. મોબાઈલ ચોરીના ગુનામાં આરોપીઓની ધરપકડ કરી તેને કસ્ટડીમાં પણ મોકલવામાં આવ્યા છે. રિકવર કરેલા મોબાઈલમાં મોટાભાગના મોબાઇલની તેના મૂળ માલિકોએ ખોવાયાની ફરિયાદ લખાવી હતી.

સાયબર ક્રાઈમથી જાગૃત રહેવા અપીલ: આ મોબાઈલ એ લોકોના હતા જેઓ શોપિંગ કરવા ગયા હતા, શાકભાજી લેવા ગયા હતા કે બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમના મોબાઈલ પડી ગયા હતા, ભુલાઈ ગયા હતા કે ચોરી થઈ ગયા હતા. મોબાઈલ પરત આપવા સાથે જિલ્લા પોલીસવડાએ તમામને સાયબર ક્રાઈમથી જાગૃત રહેવા તેમજ આસપાસ બનતી ઘટનાઓથી સાવચેત રહેવા અંગેની જાણકારી આપી હતી.
