કચ્છ: મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અને સ્વામિનારાયણ મંદિર કેરા આયોજિત ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞનો ઉત્સાહ સાથે પ્રારંભ થયો છે જેમાં આજે સવારે 5 ગજરાજ સાથેની આગમન યાત્રા યોજાઇ હતી અને સાથે જ શ્રીજીબાપાના ભુજ આગમનની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.આ નગરયાત્રામાં આફ્રિકા, યુ.કે.,અમેરિકા, અખાતી દેશો, યુરોપ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી બાપાના ભકતો મોટી સંખ્યામાં મહોત્સવનો લાભ લેવા આવી પહોંચ્યા હતા.
5 હાથી પર નગરયાત્રા યોજાઇ: આજે સવારે પાંચ હાથી સાથેની નગરયાત્રા યોજાઇ હતી જેમાં પટેલ સમાજના વિવિધ ગામોની ભજન મંડળી પણ જોડાઈ હતી. આ સાથે જ 1 ઘોડેસવાર મંડળ, 2 કલાત્મક રથ અને વિદેશથી આવેલ સ્કોટીશ પાઈપબેંડ પણ આ નગર યાત્રામાં જોડાયા હતા, કળશધારી બહેનો સહિત વેશભૂષાઓ સાથે બહેનો પણ જોડાયા હતા.આ નગરયાત્રાએ કેરા ગામમાં ખૂબ આકર્ષણ જમાવ્યું હતું જેમાં ગજરાજ અને પાઇપ બેન્ડે ખૂબ આકર્ષણ જમાવ્યું હતું.
ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞનું આયોજન: સ્વામી ગુરુપ્રિયદાસે જણાવ્યું હતું કે, મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન કેરાના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞનો આયોજન કરવામાં આવ્યો છે.ત્યારે આજે સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, વેદરત્ન આચાર્ય શ્રી પરષોત્તમપ્રિય સ્વામીજી અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી મહારાજની અધ્યક્ષતામાં 5 ગજરાજ તેમજ કેરા, માનકુવા, ભારસર અને નારાણપર ગામની ભજન મંડળીઓ પણ ઉત્સાહ સાથે નગરયાત્રામાં જોડાઇ હતી અને આ શોભાયાત્રામાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.
જ્ઞાનયજ્ઞમાં વૃક્ષારોપણ કરવા અપીલ: સર્વજીવનું કલ્યાણ થાય અને વિશ્વબંધુત્વની ભાવના સાથે આ નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદેશ્ય હાલમાં જે ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, વૃક્ષો તેમજ જંગલો કાપીને કોંક્રિટના જંગલો બની રહ્યા છે ત્યારે આ માટે મોટી માત્રામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે અને હરિયાળી લાવવામાં આવે જેથી તાપમાનમાં ઘટાડો થાય જેથી જનજીવન પર ગરમીનો પ્રકોપ ઘટે.જે માટે આ ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞમાં વૃક્ષારોપણ માટે પણ હરિભક્તોને અપીલ કરવામાં આવી છે.