જૂનાગઢ: આજે વિશ્વ ચકલી દિવસ છે. 20 માર્ચ 2010ના રોજ નેચર ફોરએવર સોસાયટી ઓફ ઈન્ડિયા અને ઈકો એસવાયએસ એક્શન ફાઉન્ડેશન ઓફ ફ્રાન્સના સહયોગથી વર્લ્ડ ચકલી દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.
કેમ લુપ્ત થઈ રહી છે ચકલી ?
ચકલીની ગણતરી આજે સંકટગ્રસ્ત પક્ષીમાં થાય છે. વિશ્વ ચકલી દિવસની ઉજવણીનો હેતુ ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવાનો છે. વૃક્ષોના આડેધડ કટીંગ, આધુનિક શહેરીકરણ અને સતત વધી રહેલા પ્રદુષણને કારણે ચકલી લુપ્ત થવાના આરે પહોંચી ગયું છે. એક સમય હતો જ્યારે ચકલીના કિલકિલાટથી લોકો ઉંઠતા હતા. પ્રત્યેક ઘરમાં ચકલીનો માળો અવશ્ય જોવા મળે. ચકલી જે જગ્યા પર માળો બનાવી શકે તેવી તમામ જગ્યા આજે આધુનિકતાના સમયમાં સંપૂર્ણપણે ગુમ થઈ ગઈ છે. આ એક પક્ષી છે જે માણસોની આસપાસ રહેવાનું પસંદ કરે છે. ચકલીઓની સંખ્યામાં સતત ઘટાડો એ પ્રદૂષણ અને કિરણોત્સર્ગની પ્રકૃતિ અને માનવીઓ પર થતી અસર વિશે ચેતવણી છે. તેથી આ દિશામાં કામ કરવાની જરૂર છે.

30 વર્ષ બાદ કુદરતી રીતે ચકલીઓને જોઈ:
મુંબઈથી જૂનાગઢ આવેલા મહેન્દ્રભાઈ શાહ આટલા મોટા પ્રમાણમાં ચકલીઓને જોઈને ખૂબ જ રોમાંચિત થઇ ઉઠ્યાં હતા પાછલા 30 વર્ષથી મુંબઈમાં રહેતા મહેન્દ્રભાઈ શાહ પ્રાણી સંગ્રહાલયમાં ચકલીઓને જોઈ હતી. તેના માટે પણ તેમણે 500 રૂપિયા ચૂકવ્યા હતા પરંતુ આજે 30 વર્ષ બાદ વતન જૂનાગઢમાં એક બે નહીં પરંતુ અનેક ચકલીઓને બિલકુલ કુદરતના ખોળે મુક્ત વાતાવરણમાં જોઈને ખૂબ ખુશ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે ચકલીને જોઈને આજે કુદરતના દર્શન થયા હોય તેવું લાગે છે. મુંબઈમાં આ પ્રકારે પક્ષીને જોવા એ વર્તમાન સમયમાં અશક્ય છે. આટલી મોટી સંખ્યામાં ચકલીઓ જોઈ ખરેખર કુદરતનો આ એક ચમત્કાર છે.

ચકલીઓને બચાવવા માટે આજે ઘણા લોકો પ્રયાસો કરી રહ્યા છે. જૂનાગઢના વિજ્ઞાન શિક્ષક સુરેશભાઈ મોણપરા અને પુરુષોત્તમભાઈ પાછલા ઘણા વર્ષોથી જૂનાગઢ બાયપાસ વિસ્તારમાં કુદરતી રીતે બનેલા બાવળના જંગલમાં પ્રતિ દિવસ ચકલીઓ માટે સવાર અને શાંજ બે વખત ચોખા, બાજરી અને પીવાના પાણીની વ્યવસ્થા સ્વયંમ કરે છે. બહાર ગામ જવાના કિસ્સામાં તેઓ આ કામ અન્ય કોઈ વ્યક્તિ કે જે કરી શકે તેને સોંપીને જાય છે. જેમાં તેમના સાથી મિત્રો પણ પાછલા કેટલાક વર્ષોથી સહભાગી બનીને લુપ્ત થતી ચકલીને બચાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. જેમાં દર વર્ષે ચકલીઓની સંખ્યામાં વધારો તેમના આ સફળ પ્રયત્નનો પુરાવો છે
પર્યાવરણ માટે જરૂરી છે ચકલી: ચકલી બીજ, અનાજ અને લાર્વા ખાઈને અસરકારક જંતુ નિયંત્રણ એજન્ટ સાબિત થયું છે. પરાગનયન, છોડ માટે એક મહત્વપૂર્ણ પ્રક્રિયા ચકલી દ્વારા પણ હાથ ધરવામાં આવે છે કારણ કે તેઓ ખોરાકની શોધ દરમિયાન છોડના ફૂલોની મુલાકાત પણ લે છે અને પરાગ ટ્રાન્સફર કરવામાં પણ પરોક્ષ રીતે મદદ કરે છે.

ચકલીને કેવી રીતે બચાવી શકાય ?
- જો તમારા ઘરમાં ચકલી માળો બનાવે છે, તો તેને દૂર કરશો નહીં.
- આંગણા, બારીઓ, બહારની દિવાલો પર દરરોજ અનાજ અને પાણી રાખો
- જૂતાની પેટીઓ, પ્લાસ્ટિકની મોટી બોટલો અને વાસણો લટકાવો જેમાં તેઓ માળો બનાવી શકે.
- તમે બજારમાંથી કૃત્રિમ માળાઓ ખરીદી શકો છો.
- તમારા ઘરોમાં અને તેની આસપાસ વૃક્ષો વાવો.