જુનાગઢ : રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને એક સમયે ગુજરાતના રાજકારણમાં દબદબો ધરાવતા કદમાં ઠીંગણા પરંતુ રાજકીય રીતે વિરાટ એવા નીતિન પટેલનો એક વિડીયો ગઈ કાલે વાયરલ થયો છે જેમાં તે અન્ય પક્ષ માંથી આવેલા નેતા અને કાર્યકરોને ગંધાતી ખીચડી સાથે સરખાવી રહ્યા છે. નીતિન પટેલનું આ નિવેદન પક્ષને વરેલા અને વર્ષોથી ભાજપ સાથે જોડાઈને કામ કરેલા કાર્યકરો માટે ચિંતા હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. હાલ નીતિન પટેલ સક્રિય રાજકારણમાંથી દૂર થયા છે. પરંતુ જે રીતે ભાજપમાં અન્ય પક્ષોના કાર્યકરો અને નેતાઓને સામેલ કરવામાં આવી રહ્યા છે, તેની સામે નીતિન પટેલનું આ નિવેદન મહત્વનું માનવામાં આવે છે.
આયાતી કાર્યકર મુખ્ય કાર્યકર્તાઓ માટે નિરાશાજનક : કોઈ પણ રાજકીય પક્ષ માટે પક્ષના સ્થાપિત અને પક્ષની વિચાર ધારા તેમજ સાથે કામ કરતા કાર્યકર્તાઓ માટે અન્ય પાર્ટીમાંથી આવેલો કાર્યકર કે નેતા સીધો ચૂંટણી જંગમાં જોવા મળે અથવા તો તેનું મહત્વ પાર્ટીના વરિષ્ઠ અને પાયાના કાર્યકરો કરતા વધી જતું હોય ત્યારે પક્ષને વરેલો કાર્યકર ખૂબ નિરાશ થાય છે અને તેના ઉત્સાહમાં ખૂબ ઘટાડો થાય છે. જેને લઈને નીતિન પટેલનું આ નિવેદન હોઈ શકે છે. કોઈ પણ રાજકીય પક્ષ પોતાના વરેલા અને પક્ષના આદર્શ ઉપર ચાલતો હોય આવા સમયે અન્ય પક્ષોમાંથી આવેલો કાર્યકર કે નેતા તેને આદેશ આપે તો તે તેના અપમાન સમાન હોય છે. જેથી નીતિન પટેલનો અણગમો વ્યકત કરતાં ભાજપમાં આયાતી કાર્યકરો અને નેતાઓ સામે આ પ્રકારનું જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હશે.
આયાતી નેતા પાર્ટીનો ક્યારેય ન હોય : ચૂંટણીના સમયમાં ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. તમામ પક્ષના કાર્યકરો અને સામાજિક આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેને લાલબત્તી સમાન માનવામાં આવે છે જે કાર્યકરો વર્ષો સુધી કોઈ એક પક્ષમાં રહ્યા હોય. પક્ષથી માન સન્માન અને પદ મેળવ્યા હોવા છતાં પણ તેઓ વર્ષો જુનો પોતાનો માતૃપક્ષ છોડીને ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. આવા કાર્યકરો કે નેતાઓ માતૃપક્ષના નથી રહ્યા તે આયાતી તરીકે ભાજપમાં આવીને ભાજપના કઈ રીતે થઈ શકશે તેની ચિંતા પણ પક્ષના વરેલા કાર્યકરોને હોય છે. જેને નીતિન પટેલે જાહેર મંચ પરથી પ્રતિનિધિત્વ આપ્યું હોય તેવું પણ તેમના નિવેદન પરથી સામે આવે છે.